Rajkot: જન્માષ્ટમીનો લોકમેળો રસરંગ, આ વર્ષે પણ 10 લાખથી વધુ લોકો જોડાવાની શક્યતા, તંત્રની તડામાર તૈયારીઓ
સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાને લઈને તંત્રની તડામાર તૈયારી, 44 મોટી અને 52 જેટલી નાની રાઈડ્સ રહેશે. મહત્વનુ છે કે શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતા મેળાની જનમેદનીમાં વધારો થવાને કારણે 2003થી રેસકોર્સ મેદાન ખાતે આ મેળો યોજવામાં આવી રહ્યો છે.

Rajkot: રંગીલા રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે 1983થી લોકમેળો યોજવામાં આવે છે. આ લોકમેળો રાજકોટની ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતા મેળાની જનમેદનીમાં વધારો થવાને કારણે 2003થી રેસકોર્સ મેદાન ખાતે યોજવામાં આવે છે. આ વખતના લોકમેળાને રસરંગ નામ આપવામાં આવ્યું છે. આજે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકમેળા અંગે વિગતો આપવામાં આવી હતી.
10 લાખ જેટલા લોકો દરવર્ષે લોકમેળામાં ઉમટે છે
અતિ લોકપ્રિય આ લોકમેળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો ઉમટી પડે છે. 5 દિવસના મેળા દરમિયાન આશરે 10 લાખ લોકો આ લોકમેળાનો આનંદ લે છે.જેમાં સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં રાજકોટ પહોંચે છે. મેળાની રંગબેરંગી રાઇડસનો આનંદ લેતા હોય છે. આ લોકમેળામાં અનેક જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળે છે.
લોકમેળાની આવકનો ઉપયોગ વિકાસકાર્યોમાં
કલેકટર કચેરી ખાતે કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હસ્તકની લોકમેળા સમિતિ દ્વારા આયોજિત આ લોકમેળાની આવક રાજકોટ જિલ્લાના વિકાસકામો માટે ખર્ચવામાં આવે છે. અત્યાર સુધીમાં ઈશ્વરીયા પાર્ક, ઈવનિંગ પોસ્ટ, ઘેલા સોમનાથ, કબા ગાંધીનો ડેલો, વીરપુર મીનળવાવ વગેરે જેવા સ્થળોના વિકાસકામોમાં લોકમેળા સમિતિ દ્વારા થયેલી આવકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્લોટ અને સ્ટોલની ફાળવણી ડ્રો દ્વારા
આ લોકમેળામાં પ્લોટ અને સ્ટોલની ફાળવણી ડ્રો અને હરરાજીની સિસ્ટમથી થાય છે.આ વર્ષે તારીખ 5 થી 9 સપ્ટેમ્બર પાંચ દિવસ સુધી યોજાનારા આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા સમિતિ દ્વારા થઈ રહી છે. જે પૈકી રમકડાના 178 સ્ટોલ, ખાણીપીણીના 14 સ્ટોલ, મધ્યમ ચકરડીના 4 પ્લોટ, નાની ચકરડીના 48 પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવશે. જયારે ખાણીપીણીના 37સ્ટોલ, યાંત્રિકના 44 પ્લોટ, આઈસ્ક્રીમના 16 પ્લોટ, ફૂડ કોર્ટના 3 પ્લોટ, 1 ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવશે.લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
1200થી વધુ પોલીસકર્મીઓ ખડેપગે રહેશે
લોકમેળામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિની જાળવણી માટે 3 DCP,10 ACP, 28 પી.આઈ.,81 પી.એસ.આઈ., 1067 પોલીસ, 77 એસ.આર.પી. સહીત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત 100 ખાનગી સિક્યોરીટી ગાર્ડ ફરજ બજાવશે. જનતાની સુરક્ષા માટે 18 વોચટાવર ઉપર સીસીટીવી કેમેરાથી વોચ રખાશે. લોકોની સુરક્ષા માટે રસરંગ લોકમેળાનો રૂ. 4 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે.
જાહેર શૌચાલય અને ફ્રી પાર્કિગની વ્યવસ્થા
RMC દ્વારા 4 જગ્યાએ જાહેર શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજાને જુદી જુદી 17 જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચોપ : દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 120 વર્ષ જૂનો કેનેડી પુલ કરાયો બંધ, જુઓ Video
ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા બાદ જ રાઇડ્સ શરૂ કરવાની મંજૂરી અપાશે
અનેક વખત આ પ્રકારના મેળાઓમાં રાઈડ્સમાં દુર્ઘટનાઓ સર્જવાથી લોકોના મોત પણ નિપજતા હોય છે.લોકમેળામાં લોકોની સુરક્ષા માટે યાંત્રિક રાઇડ્સ ચકાસણી માટે દરરોજ ફિટનેસ સર્ટીફીકેટ મેળવ્યા બાદ જ રાઇડ્સ શરૂ કરવાની મંજુરી અપાશે.લોકમેળામાં પાણી પુરવઠા, યાંત્રિક રાઇડ્સની ચકાસણી, ફાયર સર્વિસ, સફાઈ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ્સ, કાયદો વ્યવસ્થા સહિતની જુદીજુદી સમિતિઓ લોકમેળાના આયોજન અને અમલીકરણની કામગીરી કરશે.
આ વર્ષનો લોકમેળો પડશે મોંઘો
આ વર્ષે સૌરાષ્ટ્રવાસીઓને લોકમેળો થોડો મોંઘો પડવાનો છે.નાની રાઇડસના ભાવ 20ના બદલે આ વખતે 30 રૂપિયા અને મોટી રાઈડ્સના ભાવે 30 થી વધારીને 40 નક્કી કરવામાં આવ્યા છે એટલે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો