દુંદાળા દેવ ગજાનન ગણપતિજીનો મહોત્સવ આવી રહ્યો છે.ગણેશ ઉત્સવમાં(Ganesh Utsav) મોટા પ્રમાણમાં ગણેશજીને પ્રિય એવા મોદકનો(Modak) લોકો પ્રસાદ તરીકે ઉપયોગ કરે છે.
જો કે આ મોદકમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે હેતુથી રાજકોટ(Rajkot) મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ(Health Department) દ્રારા ગણેશોત્સવના બે દિવસ પહેલા જ શહેરના અલગ અલગ છ સ્થળોએથી મોદકના નમૂના લીધા છે અને આ નમૂનાઓને પરીક્ષણ અર્થે વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પંકજ રાઠોડના કહેવા પ્રમાણે ગણેશોત્સવમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે દસ દિવસ સુધી આ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે.
મોદક ખરીદતા પહેલા આટલું ધ્યાન રાખો
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પંકજ રાઠોડના કહેવા પ્રમાણે જ્યારે પણ આપ મોદક ખરીદવા માટે જાવ ત્યારે કેટલીક બાબતોની ખાસ તકેદારી રાખવી જોઇએ જેમકે મોદક તૈયાર કરવામાં કયું ધી અને ક્યું તેલ વાપરવામાં આવ્યું છે. જે મોદક તૈયાર કર્યા છે તે કેટલા દિવસ પહેલાના છે. મોદકમાં કોઇ કલરનું મિશ્રણ તો નથી ને અને જે સ્થળે એટલે કે જે દુકાને આ મોદક તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં કેવી સ્વચ્છતા છે. તેમજ વધુ કલરફૂલ જોવા મળતા મોદક ક્યારેય પણ ન ખરીદવા જોઇએ
ભેળસેળયુક્ત-વાસી મોદક બિમારી નોતરે છે
આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે કેટલાક લેભાગુ તત્વો દ્રારા ભેળસેળયુક્ત અને વાસી મોદક લોકોને આપી દેતા હોય છે અને તહેવારની સિઝનમાં લોકો કંઇપણ વિચાર કર્યા વગર આવા મોદકની ખરીદી કરતા હોય છે જેના પરીણામે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે.આ પ્રકારના મોદક આરોગવાને કારણે પેટમાં દુખાવો અને ફુડ પોઇઝનીંગ થવાની શક્યતા રહે છે અને પાચન શક્તિને પણ અસર પડે છે.
અગાઉ પાણીપુરીમાં ખતરનાક બેક્ટેરીયા મળ્યા
આરોગ્ય વિભાગ દ્રારા સમયાંતરે અલગ અલગ ખાધ સામગ્રીની ચકાસણી કરતા હોય છે જેમાં આરોગ્ય વિભાગ દ્રારા પાણીપુરીના સેમ્પલ લીધા હતા જેમાં પાંચ પાણીપુરીના વિક્રેતાઓને ત્યાંથી લીધેલા નમૂના ફેઇલ થયા હતા અને પાણીપુરીના પાણીમાંથી ઇ.કોલી ના બેક્ટેરીયા મળી આવ્યા હતા.આવા બેક્ટેરીયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.આરોગ્ય વિભાગ દ્રારા શહેરની વધુ 20 જેટલા પાણીપુરીના વિક્રેતાઓને ત્યાંથી નમૂના લીધા હતા અને તેને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગુજરાત સરકારે સામાજિક ,ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શરતો સાથે ડીજે અને બેન્ડ બાજાને મંજૂરી આપી
આ પણ વાંચો : Gujarat : શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ
Published On - 8:16 pm, Wed, 8 September 21