Porbandar: માધવપુર ઘેડના મેળાનો ધમધમાટ, શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહની તૈયારીઓ, 3 આકર્ષક થીમ સાથે યોજાશે મેળો
સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા ગુજરાત અને ઉત્તર પૂર્વીય રાજ્યોનો સમન્વય, હસ્તકલા કારીગરોના હસ્તકલા મેળા દ્વારા સમન્વય તેમજ રમત-ગમત દ્વારા સમન્વયની એમ ત્રણ વિસ્તૃત થીમ સાથે આ વર્ષનો મેળો યોજવામાં આવશે.
આ વર્ષે રામનવમી 30 માર્ચથી 3 એપ્રિલ સુધી માધવપુર ઘેડમાં શ્રીકૃષણનો વિવાહ ઉત્સવ યોજાશે. આ મેળાના ભવ્ય આયોજનને ઓપ આપવા તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો ખૂબ જ પ્રખ્યાત છે.
ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિકાસ માટેના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, પ્રવાસન વિભાગ તથા કુટિર ઉદ્યોગ વિભાગ દ્વારા આ મેળાનું આયોજન થાય છે.
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના વિચારને સાકાર કરતો આ મેળો 2018થી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના અરૂણાચલ પ્રદેશના ભીષ્માક નગરના રાજા ભીષ્મકની પુત્રી રૂકમણિ સાથે માધવપુરમાં થયેલા વિવાહની શ્રદ્ધા સ્મૃતિમાં આ મેળો યોજાતો હોય છે. ભગવાન શ્રીકૃષ્ણે માધવરાય મંદિરમાં રૂકમણિજી સાથે વિવાહ કરીને દ્વારકા પ્રસ્થાન કર્યુ. ત્યાં સુધીનો પાંચ દિવસનો સમગ્ર ઉત્સવ માધવપુરમાં સાંસ્કૃતિક મેળા અને બે પ્રદેશોની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના ઉદ્દેશથી સ્થાનિક સમુદાય ઉજવે છે.
બારાતથી બિદાઇ સુધીની આ આનંદદાયક અને પવિત્ર લગ્નવિધિને પૂનઃતા દૃશ્ય કરવા પ્રતિવર્ષ આ મેળામાં હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાતા હોય છે. વર્ષ 2018થી આ મેળાના વ્યાપક ફલક પર આયોજનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂઆત થઇ છે. વર્ષ 2022ના આ માધવપુર-ઘેડ મેળાનો શુભારંભ તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને પ્રવાસન મંત્રી મુળુ બેરાની ઉપસ્થિતીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકે 2023ના વર્ષમાં આ માધવપુર મેળામાં ‘અનેકતામાં એકતાની ભાવના ચરિતાર્થ કરવા’ વધુ નવા આકર્ષણો જોડવા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.
મેળામાં ગુજરાત સહિત 9 રાજ્યો અરૂણાાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરામ, મેઘાલય, સિક્કીમ, ત્રિપુરા અને નાગાલેન્ડ સહભાગી થવાના છે. આ મેળાના ઉદઘાટન માટે મુખ્યમંત્રી દ્વારા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને આમંત્રણ પાઠવવામાં આવશે. ઉપરાંત સહભાગી રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓને પણ ગુજરાત સરકાર મેળામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવાની છે.