Porbandar: 400 બોટની જગ્યામાં 4 હજાર બોટ પાર્ક કરવા માછીમારો મજબૂર, બોટ પાર્કિંગ મુદ્દે CMને કરી રજૂઆત
ભૂતકાળમાં જ્યારે બંદર પાર્કિંગ બન્યુ હતુ ત્યારે અંદાજે 400 જેટલી બોટ પાર્ક કરી શકે તેટલી ક્ષમતા રાખવામાં આવી હતી. જો કે આજે અહીં લગભગ 4000 થી વધુ ફિશિંગ બોટો રજિસ્ટ્રેશન થયેલી છે અને તે બોટો પોરબંદરથી ઓપરેટ થાય છે.
પોરબંદર (Porbandar)માં માછીમારો (Fishermen)ની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. 400 બોટના પાર્કિંગમાં 4000થી વધુ ફિશિંગ બોટોનું પાર્કિંગ (Fishing Boat Parking) થાય છે. આ બોટ એવી રીતે ખીચોખીચ પાર્ક કરવામાં આવે છે કે આગ જેવી ઘટના બને તો માછીમારોને મોટુ નુકસાન થઈ શકે છે. જેના પગલે ફેઝ-2 બંદર માટે માછીમારોએ મુખ્યપ્રધાનને રૂબરૂ મળી રજુઆત કરી છે તો તેની સામે મુખ્યમંત્રીએ તાત્કાલિક કામ કરવાની ખાતરી આપી છે.
400 બોટની જગ્યામાં પાર્કિંગ કરવી પડે છે 4 હજાર બોટ
પોરબંદરમાં માછીમાર ઉદ્યોગ સૌથી મોટો ઉદ્યોગ ગણાય છે. જેના પર હજારો લોકોની આજીવિકા છે. અહીં વર્ષો પહેલા બનેલા બંદરની કેપેસિટી કરતા હવે બોટોની સંખ્યા વધી રહી છે ભૂતકાળમાં જ્યારે બંદર પાર્કિંગ બન્યુ હતુ, ત્યારે અંદાજે 400 જેટલી બોટ પાર્ક કરી શકે તેટલી ક્ષમતા રાખવામાં આવી હતી. જો કે આજે અહીં લગભગ 4000થી વધુ ફિશિંગ બોટો રજિસ્ટ્રેશન થયેલી છે અને તે બોટો પોરબંદરથી ઓપરેટ થાય છે. ત્યારે આ 4 હજાર જેટલી બોટ 400 બોટ પાર્કિંગની ક્ષમતામાં ખીચોખીચ પાર્ક કરવામાં આવે છે.
સ્વાભાવિક રીતે ઓછી જગ્યામાં અનેક બોટને લાંગરવામાં આવે તો માછીમારોને હાલાકી તો સહન કરવી જ પડે. જો આગ જેવી ઘટના બને તો એક સાથે તમામ બોટ બળીને રાખ થઇ જાય તેવી સ્થિતિનું સર્જન થઈ શકે છે. જેનાથી માછીમારોને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે તેમ છે. આમ પોરબંદરમાં માછીમારોને બોટ પાર્કિંગની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની છે. જો કે આ માટે ભંડોળ પણ પહેલા જાહેર કરવામાં આવ્યું છે પણ કેટલીક વિસંગતતાઓને કારણે બોટ પાર્કિંગની સુવિધા ખોંરભે ચડી છે.
માછીમારોએ મુખ્યપ્રધાનને કરી રજૂઆત
પોરબંદરના માછીમારો બોટ પાર્કિંગની અસુવિધાથી પરેશાન છે. જેથી પોરબંદરના માછીમારોએ બોટ પાર્કિંગની જગ્યા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. બીજી તરફ મુખ્યપ્રધાને તેમની સમસ્યાના ઉકેલની ખાતરી આપી છે.
આ ઉપરાંત માછીમારોએ બંદર વિસ્તારમાં લાઈટ, પાણી, શૌચાલય,ફાયર સ્ટેશન જેવી સુવિધાની પણ માગણી કરી છે. માછીમારોનો આરોપ છે કે સરકારને વર્ષે કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાઈ આપવા છતાં માછીમારો માટે સુવિધાના નામે મીંડુ છે, ત્યારે જલ્દી માછીમારોને સુવિધાઓ આપવાની માગ ઉઠી છે. માછીમારીનો કરોડોના આ વ્યવસાય સુવિધાને નામે પાછો ન પડી જાય તે માટે જરૂરી છે કે, સત્વરે માછીમારોને યોગ્ય બાટ પાર્કિંગની સાથોસાથ અન્ય સવલતો પૂરી પાડવામાં આવે.
આ પણ વાંચો- Income Tax Alert: જો તમે રોકડમાં કરશો આ 5 વ્યવહાર, તો ઘરે આવશે ઇન્કમ ટેક્સ નોટિસ, જાણો શું છે નિયમ