Breaking News : વાવ-થરાદમાં રાજકારણ ગરમાયું, કોંગ્રેસના 3 નેતા સામે ફરિયાદ નોંધાતા ગેનીબેન આવ્યા સમર્થનમાં, જુઓ Video
રેલી દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા રોકી જગદીશ વિશ્વકર્માના પૂતળા દહન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કોંગ્રેસ દ્વારા જગદીશ વિશ્વકર્મા જાહેરમાં માફી માંગે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાની જાહેરાત કરવામાં આવી હતી.

વાવ-થરાદમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો રાજકીય વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના ગેની બેનની સાડીના પાલવમાંથી ભાજપે સીટો કાઢી લીધીના નિવેદન સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. ગેનીબેન ઠાકોર અંગે કરવામાં આવેલા નિવેદનના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગૌમાતા સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના અનેક કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા.
જગદીશ વિશ્વકર્માના નિવેદન બાદ વિવાદ
રેલી દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા રોકી જગદીશ વિશ્વકર્માના પૂતળા દહન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કોંગ્રેસ દ્વારા જગદીશ વિશ્વકર્મા જાહેરમાં માફી માંગે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આવેદનપત્ર આપવા ગયેલા નેતાઓની પોલીસ સાથે બબાલ થઈ ગઈ હતી. જે બાદ પોલીસ સાથે ઝપાઝપી અને ગેરવર્તનના આરોપ હેઠળ કોંગ્રેસના 3 નેતા સામે ફરિયાદ દાખળ થઈ હતી.
3 કોંગ્રેસ નેતા સામે ફરિયાદ દાખલ
મહત્વનું છે કે પાલિકા અને પંચાયત ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અંગે કરેલા નિવેદનથી વિવાદ સર્જાયો છે. જે બાદ ગેનીબેનના સમર્થનમાં નિકળેલી રેલીમાંથી 3 નેતાઓ પર ફરિયાદ નોંધાતા ગેનીબેન તેમના સમર્થનમાં આવ્યા છે. ગેની બેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ફરિયાદ સામે સવાલ ઉઠાવ્યા છે
ગેની બેન આવ્યા કોંગ્રેસ નેતાઓના સમર્થનમાં
બીજી તરફ, વાવ-થરાદમાં યોજાયેલી આ રેલી મામલે પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી અને ગેરવર્તનના આરોપ હેઠળ ગીતા નાઈ, પ્રધાનજી ઠાકોર અને સિદ્ધરાજસિંહ ચૌહાણ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. ઉપરાંત, મંજૂરી વગર રેલી યોજ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે ગેની બેને આ ફરિયાદને ખોટી ગણાવી નિષ્પક્ષ તપાસની માગ કરી છે અને આ અંગે જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે.
ગેનીબેન ઠાકોર સ્થાનિક નેતાઓના સમર્થનમાં કહ્યું હતુ કે ખોટી ફરિયાદ લોકશાહી પર પ્રહાર છે, તેમજ સત્યનો અવાજ દબાવવાના અને કાર્યકરોને ડરાવવાના પ્રયાસ જે કરવામાં આવ્યા છે તે અસ્વીકાર્ય છે. તેમણે કાર્યકરો નિર્દોષ હોવાનો દાવો કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. સાથે જ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવાની પણ જાહેરાત કરી છે.
