વેક્સિનેશન માટે આરોગ્યતંત્ર ભૂવાઓના સહારે: 6 મહિનાથી ના પાડતા લોકોએ ભૂવાની એક હાકલથી લઈ લીધી કોરોના વેક્સિન
રાજકોટમાં વેક્સિનેશન વધારવા માટે આરોગ્યતંત્રએ ભૂવાનો સહારો લેવો પડ્યો. જી હા વેક્સિન બાબતે અંધશ્રદ્ધા રાખતા લોકોને મનાવવામાં આ અનોખો પ્રયોગ સફળ રહ્યો છે.
કોરોના વેક્સિનને લઈને દેશભરમાં અભિયાન ચાલી રહ્યું છે. આવામાં ઘણી જગ્યાએ હજુ વેક્સિનને લઈને શંકા અને અંધશ્રદ્ધા જોવા મળી રહી છે. આવો જ એક દાખલો સામે આવ્યો છે રાજકોટમાં. રાજકોટના વીંછિયા પંથકમાં વેક્સિનેશન માટે આરોગ્યતંત્રએ ભૂવાનો સહારો લેવો પડ્યો. જી હા વેક્સિન બાબતે અંધશ્રદ્ધા રાખતા લોકોને મનાવવામાં આ અનોખો પ્રયોગ સફળ રહ્યો છે.
આ વિસ્તારમાં ભૂવાઓ સાથે આરોગ્યતંત્ર દ્વારા સમજાવટ કરવામાં આવી હતી. તેમજ નવરાત્રિ હોવાથી ભક્તોને ભૂવાઓ દ્વારા આશીર્વાદરૂપે વેક્સિન લેવા કહેવાનું સમજાવવામાં આવ્યું હતું. આખરે ભૂવાઓએ દાણા જોયા હતા અને ‘નવરાત્રિનું પર્વ હોવાથી વેક્સિન માટે માતાજી રજા આપે છે બાપ!’ એવું કહેતા જ ઘણા લોકોએ વેક્સિન લેવામાં રસ દાખવ્યો હતો. જે લોકો 6 મહિનાથી વેક્સિન નહોતા લઇ રહ્યા એ લોકો આખરે વેક્સિન લેવા માટે તૈયાર થયા હતા.
આ વિસ્તારમાં કોરોના વેક્સિન લેવા લોકો તૈયાર થતા ન હતા. આ માટે આરોગ્ય વિભાગે ગ્રામસભાઓ યોજી હતી. તેમ છતાં મોટી ઉંમરના અમુક લોકો અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓને કારણે વેક્સિન લઇ રહ્યા ન હતા. વેક્સિન લેવા જો ભૂવા કહે તો જ અમુક વૃદ્ધ લોકો વેક્સિન લેવા તૈયાર થાય એમ હોવાથી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ અનોખો પ્રયોગ કર્યો હતો. જેમાં સફળતા પણ મળી હતી. આ વિસ્તારમાં દેવધરી, ઓરી, સમઢિયાળા, આકડિયા તેમજ લાખાવડ સહિતનાં અમુક ગામોમાં ઓછું વેક્સિનેશન થયું હતું. ત્યારે ગામના ભૂવાને મળી તેમના આશીર્વાદ ભક્તોને વેક્સિન લેવા સમજાવવા કહેવામાં આવ્યું. પહેલા ભૂવાઓ તૈયાર ન થયા આખરે સહમત થયા હતા અને માતાજી આગળ વેક્સિન મૂકવા કહ્યું હતું.
આ બાદ પહેલા માતાજી પાસે વેક્સિન મુકવામાં અવી હતી. અને અલગ- અલગ ગામના ભૂવાઓએ દાણા જોયા હતા. ત્યારે કહેવામાં આવ્યું કે નવરાત્રિ હોવાથી માતાજી રાજી છે તથા વેક્સિન લેવા સૌને રજા આપે છે. આ બાદ 70થી વધુ વયોવૃદ્ધોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. સાથે જ અહેવાલમાં જણાવ્યા અનુસાર આરસીએચઓ ડો. ભંડેરીએ જણાવ્યું હતું કે આ દરમિયાન કેટલાક ભૂવાઓ પણ રસી લેવા તૈયાર થયા છે. કેટલાક ભૂવાઓએ ઉપવાસ ચાલી રહ્યા હોવાથી નવરાત્રિ બાદ વેક્સિન લેવાના છે.
આ પણ વાંચો: VADODARA : ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડના આરોપીઓને ઉત્તરપ્રદેશથી વડોદરા લાવવામાં આવશે