ઉ્ત્તર ગુજરાતમાં(North Gujarat) એક તરફ ખેડૂતો(Farmer) જ્યાં ચાતક નજરે સિંચાઈ માટે પાણીની વાટ જોઈ રહ્યા છે ત્યારે નર્મદાની KBC બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ (Irrigation)માટે છોડવામાં આવેલું પાણી અટકાવવામાં આવ્યું છે. પ્રાથમિક અહેવાલ પ્રમાણે કેનાલ પરથી ભારે વાહન પસાર કરવાનું હોવાથી કેનાલમાં બોરીબંધ કરીને પાણી અટકાવવામાં આવ્યું છે જેના પગલે ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ભારે વાહન પસાર કરવાની સમયાવઘિ પૂર્ણ થવા છતાંય વાહન હજુ કેનાલ પાર ન થતા કેનાલમાં પાણી રોકી રાખવામાં આવ્યું છે નોંધનીય છે કે ગત રોજ પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નર્મદા કેનાલમા પાણી છોડવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે નર્મદા કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને 7 દિવસ સુધીપાણી છોડવાના આદેશ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે ગત રોજ મંત્રી ઋષિેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે નર્મદાની નહેરમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો છે અને ઉત્તર ગુજરાતના 700 તળાવમાં પાણી નાખવાની જાહેરાત કરી છે. વરસાદ ખેંચાતા નર્મદાની મુખ્ય નહેરમાં 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેથી ઉત્તર ગુજરાતના અન્નદાતાને સિંચાઈના પાણીની ચિંતા નહીં રહે. આ પાણીથી 11 લાખ હેકટર જમીનમાં વાવણી માટે લાભ થશે. તો કર્મવત તળાવ માટે પણ અલગ વિકલ્પ તૈયાર કરાયો છે અને મુક્તેશ્વર તળાવ માટે પણ આવું જ આયોજન કરવામાં આવશે. જોકે આજે જ આ સમસ્યા સર્જાતા આશા ભરેલા ખેડૂતો નિરાશ થયા છે અને ખેતી માટે પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
આ વખતે વરસાદ ખેંચાતા ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે ત્યારે એક તરફ સરકારે પણ સિંચાઇનું પાણી છોડવા આદેશ આપ્યા છે ત્યારે હવે આ સમસ્યા સર્જાતા ખેડૂતોને પડતા પર પાટું જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
(ઇનપુટ ક્રેડિટ,સુનિલ પટેલ,પાટણ )
Published On - 11:22 am, Thu, 30 June 22