વડાપ્રધાન નરેન્દ્ર મોદી સડસડાટ ચઢી ગયા પાવાગઢના પગથિયા, યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ જોવા મળી

કાલિકા માતાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને રોપ-વે મારફત મંદિર પરિસરમાં પહોચ્યા પછી પણ માતાજીના દર્શન કરવા પગથીયા ચઢીને જવું પડે છે, તેવી જ રીતે વડાપ્રધાન (Prime Minister) પણ સામાન્ય શ્રદ્ધાળુની જેમ પગથીયા ચઢીને માના દર્શને પહોચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સડસડાટ ચઢી ગયા પાવાગઢના પગથિયા, યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ જોવા મળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢની પગથિયા સડસડાટ ચઢી ગયા
| Edited By: | Updated on: Jun 18, 2022 | 4:07 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પંચમહાલ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની (Pavagadh) મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં શાસ્ત્રોક્તવિધિ અનુસાર તેઓએ પૂજા-અર્ચના બાદ ધ્વજારોહણ વિધી કરી હતી. ઉપરાંત PM મોદીએ પાવાગઢ ખાતે કરવામાં આવેલા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતુ. જો કે આ સમગ્ર કાર્યક્રમ વચ્ચે ધ્યાન ખેંચનારી એક ઘટના બની હતી. વડાપ્રધાન મોદી યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી પાવાગઢના પગથિયાં ચડીને મહાકાલી માતા મંદિર (Mahakali Mata Temple) દર્શને પહોંચ્યા હતા. જેમાં વડાપ્રધાનની મહાકાલી માતા પ્રત્યેની આગવી શ્રદ્ધા જોવા મળી હતી.

પાવાગઢના પગથિયા સડસડાટ ચઢી ગયા વડાપ્રધાન

ફીટ ઇન્ડિયાના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી પગથિયાં ચડીને મહાકાલી માતા મંદિર દર્શને પહોંચ્યા હતા. ધુમ્મસ વાળા વાતાવરણ અને વરસાદના અમી છાંટણા વચ્ચે પણ તેઓ પાવાગઢના પગથિયા સડસડાટ ચઢી ગયા હતા. જે પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના કાલિકા માતાના મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ કર્યું હતું.

રોપ વેના નિયત સ્થાનથી મંદિર સુધીના પગથિયા ચઢ્યા

વડાપ્રધાન પાવાગઢ વડાતળાવ ખાતે બનાવાયેલા હેલીપેડ ઉપર ઉતરીને સીધા જ પાવાગઢ મંદિર પરિસર જવા રવાના થયા હતા. તેઓ રોપવે દ્વારા નિયત સ્થાન સુધી પહોંચ્યા હતા, તેવા સમયે ધુમ્મસ ભર્યા વાતાવરણની સાથે વરસાદના અમી છાંટણા પણ પડી રહ્યા હતા. તેમ છતાં વડાપ્રધાન યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ અને ગતિથી મંદિરના પગથિયાઓ ચડીને માતાજીના દર્શને શ્રધ્ધાપૂર્વક પહોચ્યા હતા અને મહાકાલી માતાના પૂજન-અર્ચન-આરતી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ધ્વજાજીનું પૂજન કરી કાલિકા માતા મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ કરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કાલિકા માતાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને રોપ-વે મારફત મંદિર પરિસરમાં પહોચ્યા પછી પણ માતાજીના દર્શન કરવા પગથીયા ચઢીને જવું પડે છે, તેવી જ રીતે વડાપ્રધાન પણ સામાન્ય શ્રદ્ધાળુની જેમ પગથીયા ચઢીને માના દર્શને પહોચ્યા હતા અને માતાના દરબારમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાન સાથે આ દર્શન-પૂજન અર્ચનમાં સહભાગી થયા હતા.

મહત્વનું છે કે, પાવાગઢમાં 121 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તથા મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરની ઉપર બનાવવામાં આવેલા કોરિડોરમાં 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિશ્રામગૃહ, પીવાનું શુદ્ધ પાણી, નવા અને સુવિધાસભર શૌચાલય સાથે જ સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે. નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવ્યો છે.

Follow Us