Morbi: ઉનાળાની શરૂઆતમાં માળિયા મિયાણામાં સર્જાઈ પાણીની તંગી, ગામલોકોએ કર્યો ચક્કાજામ
મોરબીના માળિયા મિયાણા તાલુકામાં ઉનાળાની શરૂઆતમાં પાણીની તંગી સર્જાતા ગામલોકોની હાલત કફોડી બની છે. વરસામેડી અને નવી નવલખી ગામના લોકોએ રોડ પર ચક્કાજામ કરી પાણી માટે વિરોધ નોંધાવ્યો.
મોરબી સહિત આસપાસના તાલુકામાં વર્ષોથી પાણીની સમસ્યા છે. માળિયા મિયાણા તાલુકાના વરસામેડી અને નવલખી ગામના લોકોએ ઉનાળાની શરૂઆતમાં પાણીની તંગી સહન કરવાનો વારો આવ્યો છે. હજુ તો ઉનાળો પુરો બેસ્યો પણ નથી ત્યાં પાણીના આ પ્રકારે ધાંધિયા સામે આવતા ગામલોકો ભારે રોષે ભરાયા છે. જેના પગલે પાણીન માગ સાથે ગામલોકોએ રોડ પર બેસી જઈ ચક્કાજામ કર્યો.
ગામલોકોની ફરિયાદ છે કે તેમને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. ગામથી દોઢથી 5 કિલોમીટર દૂર પાણી ભરવા જાય ત્યારે બે બેડા પીવાનું પાણી નસીબ થાય છે. આવુ છેલ્લા ઘણા સમયથી હોવાથી હવે ગામલોકોની ધીરજ ખૂટી ગઈ છે અને આક્રોષ સાથે રસ્તા પર ઉતરી ગામલોકો પાણીની માગ કરતા જોવા મળ્યા હતા.
ગ્રામજનોનું કહેવું છે કે દરરોજ પાણી માટે મહિલાઓને દૂર જવું પડે છે પરંતું તેમ છતાં 2 બેડાં જ પાણી મળી શકે છે. આખા દિવસમાં માત્ર 2 બેડા પાણીથી પરિવારને પીવાના પાણીમાં પણ ફાંફાં પડતાં હોય છે. ત્યારે અન્ય કામો કેવી રીતે કરવા તે અંગે પણ સવાલ ઉઠી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ગામમાં મોટાભાગના લોકોનું ગુજરાન મજૂરી કરીને ચાલે છે.. ત્યારે દિવસમાં 300 રૂપિયાની મજૂરી સામે 1 દિવસના પાણી માટે તેમને 800 રૂપિયા ખર્ચ કરવાનો વારો આવ્યો છે.
અનેક રજૂઆતો છતાં અધિકારીઓએ પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ ન લાવ્યું હોવાનો ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે જ્યાં સુધી પાણીની સમસ્યાનો હલ નહીં આવે ત્યાં સુધી નવલખી પોર્ટને જોડતો એકમાત્ર રસ્તો ચક્કાજામ કરીને વિરોધ કરવા અંગે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.