લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે નોંધાયો ગુનો, મુકેશ રબારી સાથે મૈત્રી કરાર થયા હોવાનો પોલીસ ફરિયાદમાં ખૂલાસો
લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે L ડિવિઝન ACP, ડી.વી.રાણાએ જણાવ્યુ કે અપહરણ મામલે ગુનો નોંધાયો છે. આ સાથે PC માં તેમણે જણાવ્યુ છે કે કિંજલ રબારીના મુકેશ રબારી સાથે મૈત્રી કરાર થયા હતા અને તેમની સાથે મુવી જોવા પહોંચ્યા હતા આ દરમિયાન અપહરણ થયુ હતુ.

લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ હવે આ મામલે ગુનો નોંધાઈ ચુક્યો છે. ACP ડી.વી. રાણાના જણાવ્યા અનુસાર લોકગાયિકા કિંજલ રબારી રાધનપુરથી બહેન-બનેવી સાથે અમદાવાદ આવ્યા બાદ મુકેશ રબારી સાથે મૂવી જોવા પહોંચ્યા હતા. પોરે 2:18 વાગ્યે કથિત અપહરણની ઘટના બનતા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. ચાંદખેડાના CBD મોલ બહારથી કિંજલ રબારીને લઈ જવાનો આરોપ મુકેશ રબારીએ લગાવ્યો છે. મૂવી દરમિયાન કિંજલ રબારી તબિયત ખરાબ હોવાનું કહી મોલની બહાર નીકળ્યા હતા. CCTVમાં કિંજલ રબારી કારમાં બેસતી દેખાતા તપાસમાં નવો વળાંક આવ્યો છે.
નરસી ઉર્ફે મુકેશ રબારી સાથે કિંજલ રબારીના થયા હતા મૈત્રી-કરાર
ACP ડી.વી. રાણાએ પ્રે જણાવ્યું કે ફરિયાદમાં જણાવ્યા અનુસાર કિંજલ રબારી અને નરસી ઉર્ફે મુકેશ રબારી મૈત્રી કરારથી સાથે રહેતા હતા. ફરિયાદમાં અપહરણ અંગે પૂર્વ પતિ અશોક ચૌધરીનું નામ લખાવ્યુ છે. પરંતુ પોલીસ હજુ આ બાબતે વિગતો ચકાસી રહી છે. પ્રાથમિક તપાસ માં સામે આવ્યું કે હાલ અશોક ચૌધરી અને કિંજલ રબારી વચ્ચે છૂટાછેડાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. ફરિયાદીને પકડી રાખનાર સફેદ શર્ટ વાળો વ્યક્તિ કોણ તે બાબતે પોલીસે અજાણ છે. હાલ પોલીસે વીડિયો, CCTV અને ટેકનિકલ પુરાવાના આધારે તપાસ તેજ કરી છે. ચાંદખેડા પોલીસે BNS કલમ 137(2), 126(2) અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે.
શું હતો સમગ્ર ઘટનાક્રમ ?
રવિવારે બપોરના સમયે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયુ હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. જે મુજબ અજાણ્યા શખ્સોએ ક્રેટા અને અન્ય ગાડીમાં અપહરણ કર્યુ હોવાની ચર્ચા હતી. ત્યારબાદ પોલીસે CCTVને આધારે તપાસ હાથ ધરી હતી. કિંજલ રબારી તેના પતિ સાથે હતી તે સમયે આ ઘટના બની હોવાનો દાવો કરવામાં આવ્યો હતો
જે બાદ આ ઘટનામાં મોટો વળાંક આવ્યો અને ખુદ કિંજલ રબારીએ વીડિયો જારી કરી ઘટસ્ફોટ કર્યો હતો. કિંજલે વીડિયો જારી કરી ખૂલાસો કર્યો કે તેનુ કોઈ અપહરણ થયુ નથી પરંતુ તે સ્વચ્છાએ તેના પહેલા પતિ અશોક ચૌધરી સાથે આવી ગઈ છે. કિંજલ રબારીએ અગાઉ અશોક ચૌધરી સાથે આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કર્યા હતા. આ આંતરજ્ઞાતિય લગ્નને લઈને બે સમાજ વચ્ચે વિવાદ થયો હતો અને અંતે બંને સમાજની સમજાવટ બાદ કિંજલ રબારી તેના પિતાના ઘરે પરત ફરી હતી.
Input Credit- Harin Matrawadia
