સમાજના બંધનો ફગાવી કિંજલ રબારીએ ફરી થામ્યુ પ્રેમી-પતિનું દામન, અપહરણની ઘટના અંગે કિંજલે ખુદ વીડિયો જારી કરી કર્યા આ મોટા ખૂલાસા- વાંચો
ફરી એક વાર ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતિય પ્રેમલગ્નનો વિવાદ સામે આવ્યો છે. જેનુ કારણ છે કિંજલ રબારીના અપહરણની ઘટના. સૌપ્રથમ કિંજલ રબારીનું રવિવારે બપોરના સમયે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી અપહરણ થયુ હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ કિંજલ રબારીએ ખુદ વીડિયો બનાવી ઘટસ્ફોટ કર્યો છે કે તેનુ અપહરણ થયુ નથી. તે સ્વેચ્છાએ ખુદની મરજીથી પ્રથમ પતિ અશોક ચૌધરી સાથે ગઈ છે.

ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતિય પ્રેમ લગ્નનો વિવાદ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ગાયિકા કિંજલ રબારી સમાજની બેડીઓ તોડીને ફરી એકવાર તેના પ્રેમી-પ્રથમ પતિ અશોક ચૌધરી પાસે પહોંચી ગઈ છે. આ અંગે ખુદ ગાયિકાએ વીડિયો બનાવી સ્પષ્ટતા કરી છે કે તેનું કોઈ અપહરણ થયુ નથી, તે સ્વેચ્છાએ તેની મરજીથી તેના પ્રથમ પતિ અશોક ચૌધરી સાથે ગઈ છે.
શું હતો સમગ્ર ઘટનાક્રમ ?
રવિવારે બપોરના સમયે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયુ હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. જે મુજબ અજાણ્યા શખ્સોએ ક્રેટા અને અન્ય ગાડીમાં અપહરણ કર્યુ હોવાની ચર્ચા હતી. ત્યારબાદ પોલીસે CCTVને આધારે તપાસ હાથ ધરી હતી. કિંજલ રબારી તેના પતિ સાથે હતી તે સમયે આ ઘટના બની હોવાનો દાવો કરવામાં આવ્યો હતો
જે બાદ આ ઘટનામાં મોટો વળાંક આવ્યો અને ખુદ કિંજલ રબારીએ વીડિયો જારી કરી ઘટસ્ફોટ કર્યો હતો. કિંજલે વીડિયો જારી કરી ખૂલાસો કર્યો કે તેનુ કોઈ અપહરણ થયુ નથી પરંતુ તે સ્વચ્છાએ તેના પહેલા પતિ અશોક ચૌધરી સાથે આવી ગઈ છે. કિંજલ રબારીએ અગાઉ અશોક ચૌધરી સાથે આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કર્યા હતા. આ આંતરજ્ઞાતિય લગ્નને લઈને બે સમાજ વચ્ચે વિવાદ થયો હતો અને અંતે બંને સમાજની સમજાવટ બાદ કિંજલ રબારી તેના પિતાના ઘરે પરત ફરી હતી.
Video માં સાંભળો કિંજલે શું કહ્યુ
કિંજલે વીડિયો જારી કરી પરિવારથી જીવનું જોખમ હોવાનો કર્યો આક્ષેપ
કિંજલ રબારીએ વીડિયોમાં તેના પ્રેમલગ્નથી લઈને તેના ઘરે પરત ફરવા, તેમજ અન્ય રબારી સમાજના યુવક સાથે લગ્ન કરવા સહિતના મુદ્દે ચોંકાવનારા ખૂલાસા કર્યા છે. કિંજલે વીડિયોમાં જણાવ્યુ કે તેણે અશોકકુમાર વાલાભાઈ ચૌધરી સાથે 2-5-2024ના રોજ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા. જે બાદ તેમણે પરિવારને મનાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ પરિવારના લોકો માન્યા ન હતા. જે બાદ કિંજલ રબારીએ તેના પતિ અશોક ચૌધરીને 10 માર્ચ 2026ના રોજ બોલાવ્યા હતા અને બંને સાથે નીકળી ગયા હતા અને આંતરજ્ઞાતિય લગ્ન કરી લીધા હોવાની જાહેરાત કરી હતી.
પરિવાર દ્વારા બળજબરીથી ઘરે પરત લઈ જવાઈ હોવાનો કિંજલ રબારીનો આરોપ
કિંજલે વધુમાં ઉમેર્યુ કે અશોક ચૌધરી સાથે તેના આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન બાદ પરિવાર દ્વારા તેના પતિને માર મારીને, બળજબરીથી તેને પિયરપક્ષના લોકો તેના ઘરે લઈ ગયા હતા. કિંજલે જણાવ્યુ કે તે જવા બિલકુલ તૈયાર ન હતી પરંતુ બળજબરીથી લઈ ગયા હતા. ત્યારબાદ પિયર પક્ષના લોકોએ બળજબરીથી તેને રાધનપુર કોર્ટમાં છુટાછેડાની અરજી કરાવી હતી અને ઘરમાં ગોંધી રાખવામાં આવી હતી. ત્યારબાદ કોઈ પરપુરુષ સાથે તેને આપી દેવામાં આવી હોવાનો આરોપ કિંજલ રબારી એ તેના પિયર પક્ષના લોકો સામે લગાવ્યો છે.
ઘરમાં ગોંધી રાખવાનો અને પરપુરુષને આપી દેવાનો કિંજલ રબારીનો આરોપ
કિંજલે એ પણ આક્ષેપ કર્યો છે કે તેને જે પરપુરુષ સાથે આપી દેવામાં આવી હતી ત્યાં તેના જીવને જોખમ હતુ અને પિતાના ઘરે પણ જીવનું જોખમ હતુ. આ તમામ ઘટનાક્રમ વચ્ચે કિંજલે પ્રથમ પતિ અશોક ચૌધરીને સંપર્ક કરીને બોલાવ્યા હતા અને તેમની સાથે આવી ગઈ હોવાનો વીડિયોમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. કિંજલે સ્પષ્ટપણે જણાવ્યુ છે કે તે 6 સપ્ટેમ્બર 2026ના રવિવારના રોજ સ્વેચ્છાએ, પોતાની મરજીથી તેમની સાથે આવી છે અને પોતાની જાતને હાલ સેફ, સલામત અનુભવે છે. હાલ કિંજલે વિનંતિ કરી છે કે આ અંગે કોઈએ ખોટા આરોપ લગાવીને ખોટા કેસ કે ફરિયાદ કરવી નહીં.
કિંજલ રબારીના આંતરજ્ઞાતિય લગ્નનો વિવાદ ફરી ગરમાયો
ઉલ્લેખનિય છે કે પાટણના રાધનપુરના સિનાડ ગામની વતની લોક ગાયિકા કિંજલ રબારીના આ લગ્નનો વિવાદ પહેલા પણ સામે આવ્યો હતો. જે બાદ બંને સમાજના આગેવાનોની સમજાવટ બાદ કિંજલ પોતાના પિતાના ઘરે પરત ફરી હતી. ઘરે પરત ફર્યા બાદ પણ કિંજલે એક વીડિયો જાહેર કર્યો હતો અને જણાવ્યુ હતુ કે તેનાથી ભૂલ થઈ ગઈ હતી અને હવે તેની ભૂલ સમજાઈ જતા તે પોતાના પિતાના ઘરે પરત ફરી છે.
ત્યારે કિંજલ રબારીના આંતરજ્ઞાતિય પ્રેમ લગ્નનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે અને કિંજલ ફરી તેના આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કરેલા પતિ અશોક ચૌધરી પાસે પહોંચી ગઈ છે. ત્યારે ફરી બે સમાજ આમને-સામને આવે તેવી આશંકા સેવાઈ રહી છે.
Input Credit- Harin Matravadia- Ahmedabad
