Jamnagar: આરોગ્ય વિભાગનો જીલ્લાભરમાં સર્વેલન્સ- જનજાગૃતિ માટે સક્રિય પ્રયાસ
આશા વર્કર બહેનો દ્વારા ઘરે ઘરે ફરીને દર વર્ષની જેમ આ વર્ષ જુલાઈ માસ દરમિયાન સઘન સર્વેલન્સની સાથે સાથે પોરાનાશક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે
Jamnagar: જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુલાઈ માસની ડેન્ગ્યુ (Dengue) વિરોધી માસ તરીકે ઉજવણી ચાલી રહી છે. જેમાં જીલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓ તથા આશા વર્કર બહેનો દ્વારા ઘરે ઘરે ફરીને દર વર્ષની જેમ આ વર્ષ જુલાઈ માસ દરમિયાન સઘન સર્વેલન્સની સાથે સાથે પોરાનાશક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જેનો હેતુ મેલરિયા, ડેન્ગ્યું, ચીકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ તથા નાબુદી માટે લોકોમાં જનજાગૃતિ કેળવવા અને જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો હોય છે.
જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ ઉજવણી દરમિયાન આરોગ્ય કર્મચારી મારફતે ગ્રામ્ય વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી સાથે તાવના કેસો શોધી તેમના બ્લડ સેમ્પલ લેવા તથા લોકોને યોગ્ય પ્રાથમિક સારવાર સ્થળ પર જ મળી રહે તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે. તે સાથે પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં એબેટ(ટેમોફોસ) દવાનો ઉપયોગ કરી તેનાથી લારવાનો નાશ કરી પુખ્ત મચ્છર બનતા અટકાવી શકાય છે.
જયારે અમુક જગ્યાએ મળેલા બિનઉપયોગી પાત્રોનો નિકાલ, પાત્રો ઢંકાવવા, ફ્રીજની ટ્રે સાફ કરાવવી, પક્ષીકુંજ સાફ કરાવવા વગેરે પ્રવૃત્તિઓ સર્વે દરમિયાન કરવામાં આવે છે અને સાંજના સમયે લીમડાનો ધુમાડો તથા મચ્છરદાનીનો યોગ્ય ઉપયોગ અને સ્વચ્છતા વિષે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અને આરોગ્ય કર્મચારી મારફતે બેનર-પોસ્ટર લગાવવા, પત્રિકા આપવી, ભીંતસુત્રો લખવા, સોશિયલ મીડિયા મારફતે ડેન્ગ્યુ લગત જાહેરાત સંદેશાઓ મોકલવા વગેરે પ્રવૃત્તિ દ્વારા જનજાગૃતિ લાવવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જયારે 2020ના જુલાઈ સુધીમાં જીલ્લામાં 11 જેટલા ડેન્ગ્યુના કેસ જોવા મળેલા જયારે હાલ 2021ના વર્ષમાં અત્યાર સુધીમાં માત્ર 5 જેટલા ડેન્ગ્યુના કેસો જોવા મળેલ છે. કેટલાક વિસ્તારમાં ઋતુજન્ય (સીઝનલ)તાવના કેસો જોવા મળે છે પરંતુ તેમાં ડેન્ગ્યુ પોઝીટીવ કેસો જોવા મળેલ નથી. આ અંગે લોકોની જાગૃતિ તથા કામગીરીની અસરકારકતા ખુબ જ મહત્વની છે.
મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી સારવાર લેવી જોઈએ.