Jamnagar: ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રહ્યા હાજર
આ પ્રસંગે ઉમિયા માતાજીના દર્શન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.નરેન્દ્ર મોદીની સૌને સાથે લઈ આગળ વધવાની નેમને રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે.
Jamnagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વિકસિત અને શક્તિશાળી ગુજરાતનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર હરહંમેશ હરેક સમાજની પડખે ઉભી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની (CM Bhupendra patel) ઉપસ્થિતમાં, જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે ઉમિયા માતાજી મંદિરનો (Umiya Mataji Mandir Sidsar) રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામનો (Dashabdi Mahotsav) દિવ્ય અને ભવ્ય લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉમિયા માતાજીના દર્શન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.નરેન્દ્ર મોદીની સૌને સાથે લઈ આગળ વધવાની નેમને રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે. ઉમિયાધામ સંસ્થા દ્વારા શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સહિતના ક્ષેત્રે સેવાનો યજ્ઞ શરૂ કરાયો છે. ત્યારે રાજ્ય સરકારે પણ આ સંસ્થાને વિકાસની રાહમાં મદદરૂપ થવા યાત્રાધામ વિકાસ માટે પહેલા 3 કરોડ અને ત્યાર બાદ હવે 18.25 કરોડની રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
આ તકે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સૂચન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અનેક રોગોના મૂળમાં રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતા ખેત પેદાશ જવાબદાર છે. ત્યારે આરોગ્યપ્રદ સમાજ ઉભો કરવા પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ આવશ્યક છે. રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક કૃષિને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે અને તે ઉત્પાદનને ખરીદનાર યોગ્ય બજાર પણ ગુજરાતમાં ઉપલબ્ધ બની રહ્યું છે.
આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ ઉમિયા માતાજી મંદિરના ભવ્ય ઐતિહાસિકને વાગોળ્યો હતો. તેમજ ઉમિયાધામ મંદિરના વિકાસ માટે રાજ્ય સરકાર તમામ રીતે મદદરૂપ થવા કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીની 1.50 લાખ હિમોગ્લોબીન પિલ્સ વડે તુલા કરી આરોગ્યપ્રદ સમાજના નિર્માણ માટે એક નવતર પહેલ કરી હતી. આ તકે ઉમિયાધામના ટ્રસ્ટી જેરામભાઈ વાસજાળીયાએ મંદિર પરિસરના નિર્માણ કાર્યોના દાતાઓના નામ જાહેર કર્યા હતા જે દાતાઓનું મુખ્યમંત્રીએ સન્માન કરી અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયા,પૂર્વ મંત્રી ચીમન સાપરિયા, શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થા – ઉંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ, સમસ્ત પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વેલજીભાઈ શેટા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ તથા ચિરાગભાઈ કાલરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જીવણભાઈ ગોવાણી, મોહનભાઈ કુંડારિયા, ધનજીભાઈ પટેલ, મણીભાઈ વાછાણી, જયસુખભાઇ પટેલ, અરવિંદભાઈ પટેલ, મગનભાઈ જાવિયા, વજુભાઈ માણાવદરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :Narmada : આદિવાસી સમાજ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પીણીને લઇ નાયબ કલેક્ટરને ફરજ મોકૂફ કરાયા