જામનગરથી ભાજપના વર્તમાન સાંસદ પૂનમ માડમને ભાજપે આ લોકસભા ચૂંટણીમાં પણ જામનગરથી ટિકિટ આપી ત્રીજીવાર રિપીટ કર્યા છે. પૂનમ માડમ આહિર સમાજમાંથી આવે છે અને છેલ્લી બે ટર્મથી અહીં સાસંદ છે. જામનગર જિલ્લાના રાજકારણમાં વર્ષોથી માડમ પરિવારનું વર્ચસ્વ છે.
પૂનમ માડમની રાજકીય સફરની વાત કરીએ તો વર્ષ 2012માં તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયાની ગણતરીની કલાકોમાં જ તેમને ભાજપે જામખંભાળીયા બેઠક પરથી ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને પૂનમ માડમે 38000 કરતા વધુ મતોથી હરાવ્યા હતા.
આ બાદ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પૂનમ માડમને જામનગરથી ટિકિટ આપી હતી. અહીં તેમની સીધી ટક્કર તેમના કૌટુબિંક કાકા વિક્રમ માડમ સાથે થઈ હતી. જેમા પૂનમ માડમ પોણા બે લાખ કરતા પણ વધુ લીડથી જીત્યા હતા.
2019ની લોકસભા ચૂંટણીમાં પૂનમ માડમે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયાને હરાવ્યા હતા. આહિર અગ્રણી મુળુભાઈ કંડોરિયાએ પણ આ ચૂંટણીમાં થોડા દિવસ અગાઉ જ કેસરીયા કર્યા છે અને તેઓ પણ આ વખતે પૂનમ માડમને જીતાડવા માટેનું કામ કરતા જોવા મળશે.
જામનગર જિલ્લાની લોકસભા બેઠકનો ઈતિહાસ ઘણો રસપ્રદ રહ્યો છે. આ બેઠક પર 1962થી 2014 સુધીમાં કોંગ્રેસે 8 વખત, ભાજપે 6 વખત અને અન્ય પક્ષોને 2 વાર જીત મળી છે.
આહિર સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર છેલ્લા કેટલાક દાયકાઓથી માડમ પરિવારને દબદબો જોવા મળે છે. અહીંના જાતિગત સમીકરણ પર નજર કરીએ તો અહીં મુસ્લિમ મતદારોની સાથોસાથ લેઉઆ પાટીદાર, કડવા પટેલ, એસસી, એસટી, બ્રાહ્ણણો અને વણિક મતદારોનું પણ પ્રભુત્વ જોવા મળે છે.
અહીં આહિર મતદારો 5.69 ટકા મુસ્લિમ મતદારો 13.86 ટકા અને એસસી, એસટી મતદારોની સંખ્યા 14.92 ટકા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:21 pm, Fri, 15 March 24