રસ્તાઓ પર યમદૂતના રૂપમાં ફરી રહેલા રખડતા ઢોરનો આવશે કાયમી ઉકેલ ? આ સેવાભાવી સંસ્થાએ તૈયારી બતાવી
રસ્તાઓ (roads) પર યમદૂત બનીને ફરી રહેલા રખડતા ઢોરને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, તો કેટલાક લોકોએ તો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
રાજ્યના (Gujarat) મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરની (Stray Cattle) સમસ્યાએ માઝા મુકી છે. ત્યારે જામનગર શહેરમાં પણ રખડતી રંજાડને કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ (roads) પર યમદૂત બનીને ફરી રહેલા રખડતા ઢોરને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, તો કેટલાક લોકોએ તો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જાહેર માર્ગો પર હાલ ઠેર-ઠેર ઢોર અડિંગા મારીને બેસે છે. આવી સમસ્યાઓ અંગે રજુઆતો અને કાયમી ઉકેલની માંગણી અનેક વખત કરવામાં આવી છે, ત્યારે જામનગરની (Jamnagar) સ્વ.મેરામણભાઈ ભીખાભાઈ બૈડીયાવદરા મેમોરીયલ ટ્રસ્ટ (Trust) નામની આ સંસ્થાએ તેના ઉકેલ માટેની તૈયારી દર્શાવી છે.
કાયમી ઉકેલ માટે સંસ્થાએ તંત્ર સમક્ષ પ્રસ્તાવ મુકયો
આ સંસ્થાએ હાલ કાયમી ઉકેલ માટે તંત્ર સમક્ષ પ્રસ્તાવ મુકયો છે. જેમાં જો મહાનગર પાલિકા (Jamnagar Municipal corp) દ્વારા જગ્યાની ફાળવણી કરવામાં આવે. તો મહાનગર પાલિકાના સહયોગથી રખડતા ઢોરને ત્યાં રાખવાની જવાબદારી ઉપાડી છે. જેમાં પશુઓને ચારા સહિત જો માણસોની જરૂર હોય તો તેની પણ સંસ્થા વ્યવસ્થા કરશે. જો જામનગર મનપા આ પ્રસ્તાવનને સ્વીકારશે તો રખડતા ઢોરના મુદે ઉકેલ કરનાર જામનગર રાજયનુ પ્રથમ શહેર બનશે.
જામનગવાસીઓને રખડતી રંજાડમાંથી મળશે છૂટકારો
સંસ્થાના પ્રમુખની કાના બૈડીયાવદરાએ તંત્રને રજૂઆત કરી છે કે ગાયને માતા તરીકે પુજવામાં આવે છે. તો બીજી તરફ રખડતા ઢોર મુદે તંત્રના પ્રયાસો બાદ પણ કાયમી ઉકેલ નથી. ત્યારે તેમની સંસ્થા દ્રારા ગૌસેવા કરવાના હેતુથી તેમજ રખડતા ઢોરના ત્રાસ માંથી શહેરને મુકત કરવા માટે સંસ્થા દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે. શહેરમાં રખડતા ઢોરને રાખવા માટે જો જામનગર મહાનગર પાલિકાની જગ્યા આપશે, તો ઢોરને સાચવવા, ખોરાક અને તેમને જરૂર પડે તો સારવાર સહિતની સવલતો ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. હાલ રખડતા ઢોર મુદે માત્ર ફરીયાદ નહી, પરંતુ સંસ્થાએ તેના ઉકેલ માટે સહભાગી થવાની જવાબદારી સ્વીકારવાની તૈયારી દર્શાવી છે. ત્યારે શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી મુકત કરવા માટે તંત્ર જો જગ્યાની વ્યવસ્થા કરે તો જામનગવાસીઓને રખડતી રંજાડ માંથી છૂટકારો મળી શકે તેમ છે.