ઔધોગિક એકમો (industrial units) માં થતા જીવલેણ અકસ્માત (fatal accidents) અને ઘટનાઓમાં શ્રમિકોને ન્યાય અપાવવા તેમજ કાંઠા વિસ્તારમાં પ્રદૂષિત પાણીથી થતી સમસ્યાઓને ઉજાગર કરવા માટે કોંગ્રસ દ્વારા પૂર્વ પ્રમુખ મોઢવાડિયાની આગેવાનીમાં સત્ય શોધક ( ફેક્ટ ફાઇન્ડીંગ) સમિતિની રચના કરવામાં આવી છે. સત્ય શોધક સમિતિની આજે પહેલી જ બેઠક અમદાવાદ ખાતેના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી.
બેઠકમાં છેલ્લા 5 વર્ષમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બનેલા બનાવો અંગે ચર્ચા કરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બનતી દુર્ઘટનાઓ અંગે કોંગ્રેસ દ્વારા ગઠિત આ સમિતિ અહેવાલ તૈયાર કરી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરશે.
ફેક્ટ ફાઈન્ડિંગ સમિતિના કન્વીનર અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) એ નિવેદન આપતા કહ્યું હતુ કે દરિયા કિનારા વિસ્તારની કેમિકલયુક્ત પાણીની સમસ્યા અંગે અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ કારણ કે વાપીથી લઈને મહેસાણા સુધીનો ઔદ્યોગિક ગોલ્ડન કોરિડોર છે જ્યાંની હકીકત અને અકસ્માતો તેમજ પ્રદુષણને લગતી સમસ્યાઓને લગતી બાબતો ઉપર સમિતિ કામગીરી કરશે અને અહેવાલ તૈયાર કરશે.
કેમિકલયુક્ત પાણીથી મનુષ્ય જીવન અને ખેતીને વ્યાપક નુકસાન થયું છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ઔદ્યોગિક એકમોની અંદર અનેક ઔદ્યોગિક અકસ્માતો અને હાનિકારક ઝેરી રસાયણોના કારણે કુલ 989 કામદારો મૃત્યુ પામ્યા છે. ત્યારે આ બાબતે એક રિપોર્ટ તૈયાર કરીને એમની સમસ્યાઓને હળવી કરવા તેમજ તેનુ સમાધાન શોધવા માટેનું આ સમિતિનું આયોજન રહેશે.
કોંગ્રેસની સત્ય શોધક સમિતિમાં કન્વિનર તરીકે અર્જુન મોઢવાડિયા છે જ્યારે તેમાં સભ્ય તરીકે અમિત ચાવડા, પરેશ ધાનાણી, પુંજા ભાઈ વંશ, વિક્રમ માડમ, એમી બેન યાજ્ઞિક, પ્રભાબેન યાજ્ઞિક, જીગ્નેશ મેવાણી, સી.જે. ચાવડા અને અનંત પટેલનો સમાવેશ કરાયો છે.
આ પણ વાંચોઃ Porbandar: પાકિસ્તાનની અવળચંડાઈ, ભારતીય જળ સીમા નજીકથી એક બોટ સહિત 7 માછીમારોનું અપહરણ
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, ગાંધી આશ્રમના કાર્યક્રમમાં આપશે હાજરી
Published On - 2:48 pm, Sat, 29 January 22