હે રામ ! અંતિમ સંસ્કાર માટે 10 સ્મશાન પણ ઓછા પડે છે, પરિવારને મૃતદેહ માટે જોવી પડે છે 30 કલાક રાહ
મૃતદેહ લેવા અને અગ્નિસંસ્કાર કરવામાં પણ કલાકોની રાહ. રાજકોટમાં કોરોનાથી ( corona ) મૃત્યુ પામેલા આપ્તજનનો મૃતદેહ મેળવવા સ્વજનોએ કલાકોથી રાહ જોવી પડે છે. રાજકોટમાં હાલ 10 સ્મશાનગૃહ છે તે તમામે તમામ સ્મશાનગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલાને અગ્રિનદાહ આપવા પણ રાહ જોવી પડે છે.
રાજકોટમાં કોરોનાથી ( corona ) મોતનો આંકડો રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચ્યો છે. તંત્ર કોવિડથી મૃત્યુ પામનરાનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં પહોંચી શકતું નથી. મૃતકના પરિવારજનોને મૃતદેહ મેળવવા માટે 30-30 કલાક સુધી રાહ જોવી પડી રહી છે.
વેરાવળના હરેશભાઇ નામના નિવૃત આર્મીમેન ટીવીનાઇન સાથેની વાતચીતમાં જણાવી રહ્યા છે કે તેમના ભાભી 12 તારીખના સવારના 6 વાગ્યે અવસાન પામ્યા હોવાનો સિવીલ હોસ્પિટલના કન્ટ્રોલરૂમમાંથી ફોન આવ્યો હતો. જો કે 30 કલાક વિતવા છતા હજુ મને મારા ભાભીનો મૃતદેહ સોપાયો નથી. એટલું જ નહિ કન્ટ્રોલ રૂમમાં પૂછવા છતા પણ, તમારો વારો આવશે ત્યારે તમને ફોન કરશે તેવો તંત્ર કહેતુ હોવાનું જણાવ્યુ.
અન્ય એક વ્યક્તિ પોતાની વેદના જણાવતા કહી રહ્યા છે કે તેમના માતાનું નિધન થયું છે પરંતુ તંત્ર મૃતદેહને લઇને કોઇ જવાબ આપતું નથી, કન્ટ્રોલ રૂમમાં રહેલા લોકો બેજવાબદારી પૂર્વકના નિવેદન આપતા જ્યારે વારો આવશે ત્યારે કહેવામાં આવશે તેવો ઉડાઉ જવાબ આપી રહ્યા છે..
મહત્વનું છે કે રાજકોટમાં પહેલા 5 સ્મશાન ગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલાના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા. હવે વધારાના 6 સ્મશાન ગૃહમાં કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આમ તેમ છતા તંત્ર પહોંચી શકતું નથી. વધુમાં સિવીલ, કેન્સર અને સમરસ હોસ્ટેલમાં દર્દીઓના ફેરબદલને કારણે પણ લોકો ભારે મુશ્કેલીમાં મુકાય રહ્યા છે.
છેલ્લા ત્રણ દિવસમાં જ સરકારી ચોપડા પ્રમાણે 146 જેટલા દર્દીઓના મોત થયા છે ત્યારે તંત્ર દ્રારા લોકોને પરેશાની ન થાય તે રીતે યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે..