14 એપ્રિલના મહત્વના સમાચાર : વલસાડમાં ઉમરગામ તાલુકાના મામલતદારે કરી આત્મહત્યા, ટ્રેનની નીચે પડતું મુકીને ટૂંકાવી જિંદગી
આજે 14 એપ્રિલને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
14 Apr 2026 10:42 AM (IST)
વલસાડઃ ઉમરગામ તાલુકાના મામલદારે કરી આત્મહત્યા
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મામલતદાર ડી.સી. બ્રહ્માકાછે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. મળતી માહિતી મુજબ ડી.સી. બ્રહ્માકાછ ચૂંટણી કામગીરીમાં પણ જોડાયેલા હતા. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-
14 Apr 2026 09:22 AM (IST)
વધતા તણાવ વચ્ચે ફરી અમેરિકા-ઈરાન વચ્ચે વાતચીતની શક્યતા
વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર વાતચીત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ ગુરુવારે બન્ને દેશો વચ્ચે ચર્ચા થઈ શકે છે અને તેના માટે તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના કહેવા મુજબ આ વાતચીતમાં તુર્કિયે મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યું છે. બીજા તબક્કાની બેઠક ક્યાં યોજાશે તે હજુ નક્કી નથી, પરંતુ જીનેવા અથવા તુર્કિયેમાં બેઠક થવાની સંભાવના છે. બન્ને દેશો વચ્ચે સીઝફાયર આગળ વધે તેવી પણ આશા વ્યક્ત થઈ રહી છે, જ્યારે ઈસ્લામાબાદમાં યોજાયેલ પ્રથમ તબક્કાની વાતચીત નિષ્ફળ રહી હતી.
-
-
14 Apr 2026 08:39 AM (IST)
પોરબંદર : મનપા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો અજ્ઞાતવાસમાં
પોરબંદર મનપા ચૂંટણીને લઈ રાજકીય પરિસ્થિતિ ગરમાતી જઈ રહી છે, જેમાં કોંગ્રેસના ઉમેદવારો અજ્ઞાતવાસમાં જતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપ અને AAPના દબાણ અથવા સંભાવિત ડરના કારણે કોંગ્રેસે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. ચૂંટણી માટે કુલ 35 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે 32 ઉમેદવારો જ ચૂંટણી જંગમાં રહ્યા છે. ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસે આ તમામ ઉમેદવારોને સુરક્ષાના હેતુસર અજ્ઞાતવાસમાં મોકલ્યા હોવાનું જાણવા મળે છે, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
-
14 Apr 2026 08:01 AM (IST)
સુરેન્દ્રનગર : ચૂંટણી પહેલા જ પાટડી કોંગ્રેસમાં મોટું ગાબડું
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકાના અનેક કોંગ્રેસી હોદ્દેદારો ભાજપમાં જોડાતા પક્ષમાં ગાબડું પડ્યું છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિક્રમ રબારી સહિત પાટડી તાલુકા પંચાયત અને નગરપાલિકાના આગેવાનો પણ કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં સામેલ થયા છે, જેને કારણે સ્થાનિક રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
-
14 Apr 2026 07:25 AM (IST)
અમદાવાદઃ વેજલપુરની શ્રીનંદ સિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી શ્રીનંદ સિટીમાં યુવતીની બર્થડે પાર્ટીના બહાને દારૂની મહેફિલ યોજાતા મામલો સામે આવ્યો છે. પાર્ટીમાં દારૂ પીને ધમાલ મચાવતા રહેવાસીઓએ પોલીસને જાણ કરતા વેજલપુર પોલીસે તાત્કાલિક રેડ કરી યુવતીઓ સહિત કુલ 10 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂ તેમજ અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ મામલે વેજલપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
-
14 Apr 2026 07:23 AM (IST)
2026ના ચોમાસાને લઈ ચિંતાજનક અનુમાન
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા પૂર્વાનુમાન મુજબ 2026નું ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દેશભરમાં સરેરાશ માત્ર 92 ટકા જેટલો વરસાદ થવાનો અંદાજ મુકાયો છે, જે ખાસ કરીને વરસાદ પર નિર્ભર વિસ્તારો માટે ચિંતાજનક સ્થિતિ ઉભી કરી શકે છે. આ પરિસ્થિતિ કૃષિ ક્ષેત્ર પર સીધી અસર કરી શકે છે, કારણ કે ખેડૂતોએ પાક માટે વરસાદ પર મોટું આધાર રાખ્યું છે. ઉપરાંત, પાણીના સ્ત્રોતો જેમ કે તળાવો, નદીઓ અને જળાશયો પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે, જે પીવાના પાણી અને સિંચાઈ બંને માટે પડકાર ઊભા કરી શકે છે.
આજે 14 એપ્રિલને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.