Gujarat Election 2022: કાંધલ જાડેજાએ NCPમાંથી આપ્યું રાજીનામું, ટિકિટ ન મળતા હતા નારાજ
કુતિયાણા બેઠક પર 2 ટર્મથી ધારાસભ્ય રહેલા કાંધલ જાડેજાએ પોતાના કાર્યકરો સાથે રાજીનામું આપી દીધુ છે. આ બંને ટર્મ કાંધલ જાડેજા NCP માંથી ધારાસભ્ય બન્યા હતા.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : NCPથી નારાજ કાંધલ જાડેજાએ રાજીનામું આપ્યું છે. NCP એ ટિકિટ ન આપતા કાંધલ જાડેજા નારાજ હતા. કુતિયાણા બેઠક પર 2 ટર્મથી ધારાસભ્ય રહેલા કાંધલ જાડેજાએ પોતાના કાર્યકરો સાથે રાજીનામું આપી દીધુ છે. સાથે જ કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજાને ટિકિટ ન મળતા સમર્થકોમાં રોષ ભભૂક્યો છે. માહિતી મુજબ NCP ના 6 હોદ્દેદારોએ પણ રાજીનામુ આપી દીધા છે. આ પહેલા પણ સૌરાષ્ટ્ર સહિત અનેક તાલુકા અને જિલ્લા હોદ્દેદારોએ NCP નો સાથ છોડી દીધો છે.
આ પહેલા કાંધલ જાડેજાએ NCPના ઉમેદવાર તરીકે કુતિયાણા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતુ. કોંગ્રેસ-NCPના ગઠબંધન વચ્ચે NCPમાંથી કાંધલ જાડેજાએ ઉમેદવારી કરતા આશ્ચર્ય ઊભુ થયુ હતુ. જો કે કોંગ્રસે NCP સાથે માત્ર ત્રણ જ બેઠક પર ગઠબંધન કર્યુ છે. જેમાં કુતિયાણાનો સમાવેશ થતો નથી. ત્યારે કુતિયાણા બેઠક પરથી કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉભો રાખવા મક્કમ છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસના વિરોધ છતા કાંધલે NCPમાંથી હજારો સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતુ. જો કે હવે વિવાદો વચ્ચે અંતે કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામુ આપી દીધુ છે. કાંધલ જાડેજાએ 2 દિવસ પહેલા પ્રફૂલ્લ પટેલ સાથે વાતચીત કરી હતી. આગળની રણનીતિ માટે કાંધલ જાડેજા કાર્યકરો સાથે બેઠક યોજશે.
ગુજરાત ઇલેકશન 2022 : કુતિયાણા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવારને મેદાને ઉતારી
બીજી બાજુ કુતિયાણા બેઠક પર ભાજપ દ્વારા પહેલા રમેશ ઓડેદરાનું નામ ચર્ચાઈ રહ્યુ હતુ. જો કે હવે મહિલા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર NCPમાંથી કાંધલ જાડેજા ચૂંટણી લડતા હોય છે. કાંધલ જાડેજાનું રાજ્યસભાની ચૂંટણી હોય કે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય તેમનું ભાજપ તરફી વલણ રહેતુ હોય છે. ત્યારે ભાજપે આ વખતે મહિલા ઉમેદવારને આ મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હવે આ બેઠક પર જે ટફ ફાઇટ હતી તે હવે એકતરફી થઇ ગઇ છે. આ બેઠક પરનું સમીકરણ હવે ખૂબ જ રસપ્રદ બની રહેશે.
ગુજરાત ઇલેકશન 2022 : 2017માં 11 જેટલા ઉમેદવારને પરાજીત કર્યા હતા
2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસપીનુ ગઠબંધન નહીં થયું હોવા છતા કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી. કાંધલ જાડેજાએ પ્રથમ વખત 2012માં એનસીપી માંથી રાણાવાવ-કુતિયાણા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતુ. બે ટર્મ કાંધલ જાડેજા NCP માંથી ધારાસભ્ય બન્યા હતા.