Property Case: મુસ્લીમ માતાની સંપતિ પર હિન્દુ દીકરીઓને મળી શકે છે હક? કોર્ટ આપ્યો મહત્વનો ચૂકાદો
અમદાવાદની એક અદાલતે ત્રણ હિંદુ મહિલાઓ દ્વારા દાખલ કરાયેલ દાવો ફગાવી દીધો છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની માતાના મૃત્યુ પછી તેમને નિવૃત્તિનો લાભ મળવો જોઈએ. કારણ કે મહિલાએ ઈસ્લામ ધર્મ અપનાવી લીધો હતો.
અમદાવાદની એક કોર્ટે ઉત્તરાધિકાર અંગે મહત્વનો નિર્ણય આપ્યો છે. આ કેસમાં મુસ્લિમ માતાની હિંદુ દીકરીઓને મિલકતનો અધિકાર મળ્યો નથી. મહિલાની ત્રણ પુત્રીઓ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓએ માંગ કરી હતી કે તેમની માતાના મૃત્યુ પછી તેમને નિવૃત્તિનો લાભ આપવામાં આવે.
કોર્ટે જણાવ્યું હતું કે, મહિલાની માતાએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોવાથી તેમના હિંદુ બાળકો મુસ્લિમ કાયદા અનુસાર તેના વારસદાર બની શકે નહીં. કોર્ટે મહિલાના મુસ્લિમ પુત્રને તેનો યોગ્ય વારસદાર તરીકે જણાવ્યો હતો.
રંજન ત્રિપાઠીને પહેલેથી જ બે દીકરીઓ હતી. 1979માં તે ગર્ભવતી હતી, જે દરમિયાન તેના પતિનું અવસાન થયું હતું. તેનો પતિ ભારત સંચાર નિગમ લિમિટેડમાં નોકરી કરતો હતો. પતિના અવસાન પછી, રંજનને રહેમિયતના આધારે બીએસએનએલમાં ક્લાર્કની નોકરી મળી હતી.
1990માં દીકરીઓએ ભરણપોષણનો કેસ જીત્યો હતો
નોકરી મળ્યાના થોડા દિવસો બાદ રંજને ત્રીજી પુત્રીને જન્મ આપ્યો. ત્રણેય દીકરીઓને છોડીને તે મુસ્લિમ પુરુષ સાથે રહેવા લાગી. મહિલાની ત્રણ પુત્રીઓની સંભાળ તેના પતિના પરિવાર દ્વારા લેવામાં આવી હતી. 1990 માં ત્રણેય પુત્રીઓએ ત્યજી દેવાના આધારે રંજન પર ભરણપોષણ માટે દાવો કર્યો અને કેસ જીત્યો હતો.
રંજને 1995માં ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો
રંજને 1995માં ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો અને બાદમાં એક મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. રંજને તેના સર્વિસ રેકોર્ડમાં તેનું નામ બદલીને રેહાના મલેક કર્યું હતું. ધર્મ બદલ્યા બાદ રંજનને એક પુત્ર થયો. રંજન ઉર્ફે રેહાનાએ પોતાના જ પુત્રને સર્વિસ રેકોર્ડમાં નોમિનેટ કર્યો હતો.
2009માં પુત્રીઓએ કેસ દાખલ કર્યો હતો
2009 માં રંજનનાં મૃત્યુ પછી, તેમની ત્રણ પુત્રીઓએ તેમની માતાના ભવિષ્ય નિધિ, ગ્રેચ્યુઇટી, વીમા, રોકડ અને અન્ય લાભો પર તેમના અધિકારો પર ભારપૂર્વક દાવો કરીને શહેરની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તેમના દાવાને ફગાવી દેતા કોર્ટે કહ્યું હતું કે જો મૃતક મુસ્લિમ હોય તો તેના વર્ગ Iના વારસદારો હિંદુ ન હોઈ શકે.
હાઈકોર્ટના નિર્ણયનો કર્યો ઉલ્લેખ
કોર્ટે નયના ફિરોઝખાન પઠાણ ઉર્ફે નસીમ ફિરોઝખાન પઠાણના કેસમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. આ ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે, તમામ મુસ્લિમો મોહમ્મદ કાયદા અનુસાર શાસન કરે છે. ભલે તેઓ ઇસ્લામ કબૂલ કરે. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે હિંદુ વારસાના કાયદા અનુસાર પણ દીકરીઓને તેમની મુસ્લિમ માતાઓ પાસેથી વારસામાં કોઈ હક મળવા પાત્ર નથી.