રાષ્ટ્રીય એકતા દિવસે જ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ એક રહેવાની ટકોર કરવી પડી, જાણો શું કહ્યું
ગઈ કાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઇ. ત્યારે ગુજરાત કોંગ્રેસને આ દિવસે એક રહેવાની ટકોર મળી. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું 'ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આંતરિક વિખવાદ દૂર કરવો પડશે'.
રાષ્ટ્રીય એકતા દિવસે જ ગુજરાત કોગ્રેસના નેતાઓને એક થવાની ટકોર મળી છે. જી હા, ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આંતરિક વિખવાદ દૂર કરવો પડશે. આ મોટી ટકોર કરી ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ. અમદાવાદના એક જાહેર કાર્યક્રમમાં રઘુ શર્માએ કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ ભાષામાં ટકોર કરી. અને કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ પાછલા 25 વર્ષથી સત્તાથી દૂર છે, અને આ એક લાંબો સમય છે. તેઓએ આહવાન કર્યું કે, કોંગ્રેસના નેતાઓ આંતરિક મતભેદ દૂર કરે અને એક થઇને ભાજપનો સામનો કરે.
જણાવી દઈએ કે મિશન 2022 માટે કોંગ્રેસે કમરકસી લીધી છે. જે અંતર્ગત 1 નવેમ્બરથી 31 માર્ચ 2022 સુધી કોંગ્રેસ તરફથી સભ્ય નોંધણી કરવામાં આવશે. ભાજપના પેજ પ્રમુખના આયોજનની સફળતાને જોતા કોંગ્રેસ, યુવા અને મહિલા મતદારોને જોડવાનું અભિયાન શરૂ કરશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે સભ્ય નોંધણી માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને નવા યુવા મતદારોને કોંગ્રેસમાં જોડવાનું અભિયાન શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત પાંચ રૂપિયાની ફી આપી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય બનાવવામાં આવશે. નવા સભ્યોને કોંગ્રેસના વિઝનથી વાકેફ કરવામાં આવશે. સભ્ય નોંધણી ઝુંબેશમાં એક બુથમાંથી કે એક વિસ્તારમાંથી સભ્ય બને તેના બદલે દરેક જગ્યા પરથી સભ્ય બનાવવાનું નક્કી કરાયું છે. તમામ બુથ પર આગેવાનો જઈ વ્યક્તિગત રીતે સંપર્ક કરી લોકોને કોંગ્રેસમાં જોડવાનો પ્રયાસ કરશે.
2022 મિશન અંતર્ગત દરેક બુથ પર 25 સભ્ય બનાવવાનો લક્ષ્યાંક કોંગ્રેસે નક્કી કર્યો છે. આ માટેની ઝુંબેશ 31 માર્ચ 2022 સુધી ચલાવવામાં આવશે. આ ઉપરાંત મોંઘવારી, રોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસ ભાજપને ઘેરશે અને આ માટે જન જાગરણ અભિયાનની પણ શરૂઆત કરશે.
આ પણ વાંચો: મીનીમમ ભાડામાં વધારા મુદ્દે રીક્ષાચાલકોની હડતાળથી રાજ્યમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જશે
આ પણ વાંચો: વકીલે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક નિયમના ભંગ બદલ PSIને સ્થળ પર જ ભરાવ્યો દંડ