Gujarat Budget 2026-27: શ્રદ્ધાળુઓ આનંદો ! ગુજરાતના યાત્રાધામોનો થશે વિકાસ, કરોડોના ખર્ચે અંબાજી, ડાકોર, દ્વારકાને વિકસાવાશે

રાજ્ય સરકારે પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન માટે ₹3,090 કરોડનું બજેટ ફાળવ્યું છે. જેમાં અંબાજી કોરિડોર, સોમનાથ સ્વાભિમાન પર્વ, મેરીટાઇમ મ્યુઝિયમ અને રાજ્યમાં નવા હવાઈ રૂટ્સ શરૂ કરવા જેવી અનેક મહત્વની યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.

Gujarat Budget 2026-27: શ્રદ્ધાળુઓ આનંદો ! ગુજરાતના યાત્રાધામોનો થશે વિકાસ, કરોડોના ખર્ચે અંબાજી, ડાકોર, દ્વારકાને વિકસાવાશે
Image Credit source: Tv9Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2026 | 4:19 PM

ગુજરાતને વૈશ્વિક પ્રવાસન નકશા પર ટોચનું સ્થાન અપાવવા માટે રાજ્ય સરકારે આજના બજેટમાં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન વિભાગ માટે કુલ ₹3,090 કરોડની તોતિંગ જોગવાઈ કરી છે. આ બજેટમાં ધાર્મિક આસ્થાના કેન્દ્રોના વિકાસની સાથે આધુનિક એવિએશન સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

યાત્રાધામ વિકાસ: અંબાજી કોરિડોર અને આઇકોનિક બસ સ્ટેશનો

યાત્રાધામોના વિકાસ માટે કુલ ₹550 કરોડની જોગવાઈ પૈકી:

  • અંબાજી કોરિડોર: શક્તિપીઠ અંબાજી ખાતે સુવિધાઓ વિકસાવવા અને માસ્ટરપ્લાન માટે ₹300 કરોડ ફાળવાયા છે.
  • આઇકોનિક બસ સ્ટેશનો: સોમનાથ અને અંબાજીમાં મુસાફરોની સુવિધા માટે ₹447 કરોડ ના ખર્ચે આઇકોનિક બસ સ્ટેશનો બનાવવામાં આવશે.
  • અન્ય યાત્રાધામો: બહુચરાજી, ગિરનાર, ડાકોર, દ્વારકા અને નર્મદા પરિક્રમા પથ પર પદયાત્રીઓ માટે સુવિધાઓ ઊભી કરવા કરોડોની જોગવાઈ કરાઈ છે.

નાગરિક ઉડ્ડયન: દાહોદમાં ગ્રીનફીલ્ડ એરપોર્ટ

હવાઈ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે મહત્વના નિર્ણયો લેવાયા છે:

  • નવું એરપોર્ટ: દાહોદ ખાતે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવાની જાહેરાત કરાઈ છે.
  • એરપોર્ટ વિસ્તરણ: પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર એરપોર્ટના વિસ્તરણ માટે ₹95 કરોડની જોગવાઈ છે.
  • ઉડાન યોજના: નાના શહેરોને હવાઈ માર્ગે જોડવા માટે ‘Viability Gap Funding’ હેઠળ ₹78 કરોડ અને ‘ઉડાન’ વિઝન માટે ₹20 કરોડ ફાળવાયા છે.

સાંસ્કૃતિક વિરાસત અને બીચ ટૂરિઝમ

  • સોમનાથ ગ્લોબલ ડેસ્ટિનેશન: ‘વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન’ હેઠળ સોમનાથનો વૈશ્વિક સ્તરે વિકાસ થશે અને આખું વર્ષ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ઉજવાશે.
  • લોથલ મેરીટાઇમ મ્યુઝિયમ: લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરીટેજ મ્યુઝિયમ માટે ₹95 કરોડની જોગવાઈ કરાઈ છે.
  • બીચ ટૂરિઝમ: સોમનાથ, શિવરાજપુર અને પોરબંદર-વિસાવડામાં બીચ ટૂરિઝમના વિકાસ માટે ₹60 કરોડ ફાળવાયા છે.

ગુજરાતને વૈભવી અને સંસ્કૃતિથી સમૃદ્ધ લગ્ન સ્થળ તરીકે સ્થાપિત કરવા માટે સરકારે વિશેષ આયોજન કર્યું છે. આ કેમ્પેઇન દ્વારા રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસન સ્થળો પર ડેસ્ટિનેશન વેડિંગને પ્રોત્સાહન અપાશે.

Gujarat Budget Breaking: ‘વિકસિત ગુજરાત 2047’ માટે રૂ. 50,000 કરોડનું ફંડ, નમો લક્ષ્મી અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સ પર સરકારનો મોટો દાવ, વાંચવા માટે અહીં ક્લિક કરો