સોમનાથ ટ્રસ્ટ સેવા યજ્ઞ : કોરોનાના દર્દીઓ અને તેમના પરિવાર માટે મફત ભોજનની વ્યવસ્થા
દર્દીઓના ઘર સુધી ખાસ પેકેટોમાં તૈયાર કરી સોમનાથ ભોજન પ્રસાદી સર્વને વિનામુલ્યે સેવાભાવથી પહોંચાડવામાં આવે છે.
કોરોના મહામારીના કપરા સમયમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સેવાયજ્ઞ હાથ ધરાયો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓ અને તેના પરિવારો તથા હોમ ક્વોરન્ટાઇન દર્દીઓ સુધી ભોજન-પ્રસાદી ટ્રસ્ટના વાહનો દ્વારા વિના મુલ્યે ઘરે ધરે પહોચાડાય છે.
વિશ્વ પ્રસિદ્ધ બાર જ્યોર્તિલિંગમાં પ્રથમ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના ભવ્ય – દિવ્ય મંદિરમાં કોરોના સંક્રમણ સામે સાવચેતી રૂપે તા. ૧૧ એપ્રીલથી દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ કરાયું છે. અને કોરોનાના આવા કપરા કાળમાં સોમનાથ ટ્રસ્ટ ભક્તોની સેવામાં સદાય ખડેપગે છે કે જેઓએ “ જન સેવા એ પણ પ્રભુ સેવા” અને “ દર્દી દેવો ભવ ” નું સુત્ર સાર્થક કર્યુ છે.
આ મહામારીમાં ટ્રસ્ટ સેવાઓ અંગે માહિતી આપતાં સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે વેરાવળ-પાટણ શહેરમાં હોમ-ક્વોરન્ટાઇન રહેલા દર્દીઓ, વેરાવળ સીવીલ હોસ્પિટલ દર્દીઓ તેના પરીવારો તથા મેડિકલ સ્ટાફ અને લીલાવંતી અતિથી ગૃહ કેર સેન્ટર દર્દીઓ-ડોક્ટરો સહિત સ્ટાફને સોમનાથ ટ્રસ્ટના ટુરીસ્ટ ફેસિલીટી સેન્ટર ખાતે ભોજન બનાવવાનું વિશાળ ભોજનાલય ઉભુ કરાયુ છે. જ્યાં શુદ્ધ, સ્વાદિષ્ટ સવાર સાંજ ભોજન તૈયાર કરવામાં આવે છે જેને સોમનાથ ટ્રસ્ટના વાહનો દ્વારા તેમજ રીક્ષા દ્વારા ભારત વિકાસ પરિષદ સહયોગ સાથે વેરાવળ હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોના દર્દીઓ તેના પરિવાર સ્ટાફ તથા વેરાવળ હોમ ક્વોરન્ટાઇન વેરાવળ-પાટણ ના ગામમાં વસતા દર્દીઓના ઘર સુધી ખાસ પેકેટોમાં તૈયાર કરી સોમનાથ ભોજન પ્રસાદી સર્વને વિનામુલ્યે સેવાભાવથી પહોંચાડવામાં આવે છે.
ટ્રસ્ટ દ્વારા સમયસર પહોંચાડાય છે ભોજન
સવાર અને સાંજે ભોજનના સમયે પહોંચે તેવી કાળજી લેવાય છે. ભોજનમાં સવારે બે શાક, રોટલી-સંભારો, દાળ-ભાત, કઠોળ અને સાંજે પરોઠા, શાક, કઢી, ખીચડી આપવામાં આવે છે. સવારના ભોજનમાં સોમનાથ પ્રસાદીના લાડું પણ પેકેટમાં પીરસવામાં આવે છે.
આમ કોરોનાના આ કપરા કાળમાં સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ આગળ આવીને દર્દી તેમજ તેના પરિવારને વિનામુલ્યે સેવાઓ આપે છે. દેશમાં જ્યારે કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે તેવી પરિસ્થિતીમાં લોકોના સહયોગ અને પ્રયાસથી જ કોરોના સામે લડી શકાશે. સોમનાથ ટ્રસ્ટના આ ઉમદા કાર્યથી આસપાસના લોકોને ખૂબ રાહતનો અનુભવ થઇ રહ્યો છે. જે પરિવારમાં બધા જ પોઝિટીવ છે તેવા પરિવારને આ ભોજન વ્યવસ્થા મળવાને કારણે હાશકારાનો અનુભવ થયો હશે.