સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના મહેમાનોને કરાવવામાં આવશે ગુજરાતના મંદિરોની તીર્થયાત્રા, જાણો રૂટ
માદરે વતન પધારતા તામિલનાડુમાં વસતા ગુજરાતી સમુદાયને ‘હર’ અને ‘હરિ’ની ભૂમિ એવા વેરાવળ-સોમનાથમાં સ્થિત વિવિધ તીર્થસ્થાનોની યાત્રા કરાવવામાં આવશે.

ગાંધીનગર: ગુજરાતમાં સોમનાથ ખાતે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમના શુભારંભ આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે. મૂળ સોમનાથના પણ સદીઓથી તામિલનાડુમાં વસતા લોકોના ભવ્ય સ્વાગત માટે મહાદેવના ધામ સોમનાથ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તમિલનાડુથી 17 એપ્રિલે ગુજરાત પધારનારા આ મહેમાનો માટે વિવિધ મંદિરોની તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
માદરે વતન પધારતા તામિલનાડુમાં વસતા ગુજરાતી સમુદાયને ‘હર’ અને ‘હરિ’ની ભૂમિ એવા વેરાવળ-સોમનાથમાં સ્થિત વિવિધ તીર્થસ્થાનોની યાત્રા કરાવવામાં આવશે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના મહેમાનોને તેમની ગુજરાત યાત્રા દરમિયાન સૌથી પહેલા પ્રથમ જ્યોતિર્લિંગ લઈ જવામાં આવશે, જ્યાં તેઓ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરશે. ત્યારબાદ 17મી સદીમાં અહલ્યાબાઈ હોલકર દ્વારા નિર્મિત જૂના સોમનાથ મંદિરે દર્શન માટે લઈ જવામાં આવશે. ત્યારબાદ તેઓને શ્રીરામજી મંદિર, ત્રિવેણી સંગમ, ગીતામંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, બલરામજીની ગુફા, હિંગળાજ માતાજીની ગુફા અને પૌરાણિક સૂર્ય મંદિરની તીર્થયાત્રા પણ કરાવવામાં આવશે.
ગુજરાતમાં આયોજીત “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ માટે મદુરાઈ ખાતેથી પ્રથમ ટ્રેન સૌરાષ્ટ્ર માટે રવાના
આ કાર્યક્રમ માટે તામિલનાડુના મદુરાઈ ખાતેથી પ્રથમ ટ્રેન સૌરાષ્ટ્ર આવવા માટે રવાના થઈ ચૂકી છે. આ સ્પેશિયલ ટ્રેનને તામિલનાડુથી ભવ્ય રીતે વિદાય આપવામાં આવી હતી. મદુરાઈથી ઉપડેલી આ વિશેષ ટ્રેનનું સાલેમ અને ચેન્નઈ રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેન્નઈ રેલવે સ્ટેશન પર આ વિશેષ ટ્રેનનું સ્વાગત કરવા માટે તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: સુરતનો ‘ગોલ્ડન’ બોય ! એન્જિનિયર યુવકે વિદેશો જેવા પાત્ર વડે પોતાની કળાથી જાણીતો બન્યો, જુઓ photos
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ કાર્યક્રમ
ઉલ્લેખનીય છે કે ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના ઐતિહાસિક સંબંધને ઉજાગર કરવા અને બન્ને રાજ્યો વચ્ચે સમન્વય સ્થાપવા માટે ગુજરાતમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની કલ્પનાને સાકાર કરે છે. નોંધપાત્ર બાબત એ છે કે ભારત સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્વસ’ હેઠળ દેશમાં સાંસ્કૃતિક સાયુજ્ય સાધવા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યુ છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં 5 હજારથી વધુ મહેમાનો ગુજરાતની મુલાકાત લે તેવી સંભાવના છે.
2010માં પણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ
ઉલ્લેખનીય છે કે મૂળ સૌરાષ્ટ્રના પરંતુ તમિલનાડુમાં વસી રહેલા આ સમુદાયને પુન: ગુજરાત સાથે જોડવાના પ્રયત્નો વર્ષ 2005થી કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે 2010માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈ ખાતે વિરાટ સૌરાષ્ટ્ર સંગમનું આયોજન કર્યું હતું, જેમાં 50,000 કરતાં વધારે સૌરાષ્ટ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ વારાણસીમાં “કાશી-તમિલ સંગમ”નું પણ આયોજન કરવામાં આવ્યું. આમ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના અને તેમની જન સમુદાયને પોતાના મૂળ સાથે જોડવાની પરિકલ્પના સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમથી મૂર્તિમંત થવા જઈ રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…