ગીરસોમનાથ: ગુજરાતના માછીમારોની સ્થિતિ બની કફોડી, મોંઘવારી અને ડીઝલના ભાવ વધતા ગુજરાન ચલાવવુ થયુ મુશ્કેલ
ગીરસોમનાથ જિલ્લામાંથી 8થી 10 હજાર બોટો દરિયામાં માછીમારી કરે છે. અહીં અંદાજે 5 હજારથી વધુ બોટો દરિયામાં માછીમારે માટે જાય છે. હાલ માછીમારોની કમાવાની સિઝન શરૂ ગઈ છે. પરંતુ માછીમારોને એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હાલત છે. પહેલા કોરોના મહામારી નડી અને પછી કુદરતી વાવાઝોડા, બાદ હવે ડીઝલના ભાવ ઉંચકાતા માછીમારોને ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે.
![ગીરસોમનાથ: ગુજરાતના માછીમારોની સ્થિતિ બની કફોડી, મોંઘવારી અને ડીઝલના ભાવ વધતા ગુજરાન ચલાવવુ થયુ મુશ્કેલ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/11/fishermen-1.jpg?w=1280)
માછીમારો પોતે તો રોજગારી મેળવે જ છે પરંતુ તેની સાથે જોડાયેલા લાખો લોકોને પણ રોજગારીની આપે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દેશને કરોડોનું હૂંડિયામણ રળી આપતા આ માછીમારોની હાલત કફોડી બની છે. પહેલા 2020માં કોરોના મહામારી આવી, ત્યારબાદ અરબી સમુદ્રમાં સર્જાયેલા અનેક વાવાઝોડાઓ જેવી કુદરતી આફતોએ પરેશાન કર્યા. આ મુશ્કેલી ઓછી હતી તો તેમાં બોટ માલિકોને વધતા ડીઝલના ભાવ અને મોંઘવારીએ પરેશાન કરી દીધા છે.
સામાન્ય રીતે એક બોટ દરિયામાં જાય એટલે ડીઝલ બરફ, રાશન સહીત 5 થી 7 લાખ રૂપિયાનો ખર્ચ આવે. ત્યાર બાદ બોટ દરિયામાંથી પરત ફરે ત્યારે માત્ર 4 થી 5 લાખ રૂપિયાની ફિશ લઈને આવે એટલે કમાવાની વાત તો દૂર ઉપરથી બોટ માલિક ને 1 થી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ માથે પડે છે.
માછીમારોના મતે આજથી વર્ષો પહેલાં દરિયામાંથી મોટા પ્રમાણમાં માછલીનો જથ્થો મળતો હતો અને શરૂઆતના એકાદ બે મહિના માછીમારો માટે કમાવવાના દિવસો હોય છે પરંતુ ગ્લોબલ વોર્મિંગ અસર અને આઉટ સ્ટેટના માછીમારોની આધુનિક ટેકનોલોજીથી માછલી પકડવાની પદ્ધતિ ગુજરાતના માછીમારોને પાયમાલી તરફ ધકેલી રહી છે. તો બીજી તરફ વિદેશમાં સપ્લાઈ થતી માછલીનો પણ પૂરતા પ્રમાણમાં ભાવ મળતો નથી અને માર્કેટ ઉપર નીચે થયા કરે છે.
આ પણ વાંચો: ઈન્દોરમાં પીએમ મોદીએ કર્યો દોઢ કિલોમીટરનો રોડ શો- શાજાપુરમાં વિરોધીઓ પર વરસ્યા પીએમ
વેરાવળ બંદર પરથી વિશ્વના મોટાભાગના દેશોમાં ફિશ સપ્લાય થાય છે જેમાં સૌથી વધુ યુરેપિયન દેશો અને ચાઇનામાં ગુજરાતની માછલીની માંગ વધુ રહે છે, જોકે છેલ્લા બે ચાર વર્ષથી વિશ્વના અનેક દેશોમાં યુદ્ધો અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિના કારણે વિદેશ સપ્લાય પર તેની અસર જોવા મળી રહી છે. જે સીધીજ દરિયામાં માછીમારી કરતા બોટ માલિક પર પડી રહી છે, અને બોટ માલિક દિવસેને દિવસે કરજદાર બનતો જાય છે. બીજી તરફ અરબી સમુદ્ર પણ જાણે માછીમારોની પરીક્ષા લેતો હોય તેમ એક પછી એક વાવાઝોડાઓ અરબી સમુદ્રમાં ઉદભવ્યા કરે છે, એ પણ માછીમારોની સીઝન પર સૌથી મોટી અસર કરે છે, ત્યારે મુશ્કેલીની જાળમાં ફસાયેલા આ માછીમારોની વ્યથા સરકાર સમજી તેમના માટે કોઈ ખાસ પ્રયાસ કરે છે કે કેમ એ જોવાનું રહેશે.
Input Credit- Yogesh Joshi- Gir Somnath