ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ સીએમને અલગ અલગ મુદ્દે કરી રજૂઆત
ગુજરાતમાં ઊર્જા વિભાગના કથિત ભરતી કૌભાંડ અંગે પ્રતિક્રિયા આપતા સુખરામ રાઠવાએ કહ્યું કે ગુજરાત સરકાર ને ટેવ પડી ગઈ છે પરીક્ષા લઈને તેને રદ્દ કરવાની.
ગુજરાત વિધાનસભાના(Gujarat Assembly)વિરોધ પક્ષના નેતા(Lop) સુખરામ રાઠવા(Sukhram Rathva)કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને(CM Bhupendra Patel)રજૂઆત કરવા સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. કોંગ્રેસ દ્વારા જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ની હત્યા અને ભરૂચની સહકારી ખાંડ મંડળીની ચૂંટણીનો મુદ્દો સીએમ સમક્ષ મૂકવામાં આવ્યો હતો.
પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા
જુન 2021માં જૂનાગઢના ભૂતપૂર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્રની હત્યા કરવામાં આવી જે બાદ લાખાભાઈ દ્વારા પોલીસ ચોકી ના નિર્માણ ની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું . આ આંદોલન દરમિયાન જ લાખાભાઈ પરમારનું પેરાલીસીસ ના એટેકથી અવસાન થયું હતું. આ સમગ્ર હત્યાકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા અવારનવાર પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માંગ
કોંગ્રેસનું એવું કહેવું હતું કે આરોપીઓ સત્તા પક્ષ સાથે સંડોવાયેલા હોવાથી પોલીસ અને તંત્ર તેમને છાવરે છે અને યોગ્ય કાર્યવાહી નથી કરી રહી. આજે વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને કોંગ્રેસના ધારાસભ્યોએ આ કેસમાં પોલીસ તંત્ર દ્વારા ત્વરિત કામગીરી થાય અને ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરાય તેવી રજૂઆત સીએમ ભુપેન્દ્ર પટેલને કરી હતી.
બીજો મુદ્દો હતો વડોદરા જિલ્લાની શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીનો. વિપક્ષ ના નેતાએ જણાવ્યું કે સરકારી તંત્ર દ્વારા મંડળીના નેતા ભાજપ માં જોડાય અને મંડળી ભાજપના નેજા હેઠળ આવે તેવા દબાણ કરવામાં આવી રહ્યા છે.
ભાજપ પોતાના મળતિયાઓને બચાવવા લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમી રહી છે.
ઊર્જા વિભાગના કથિત ભરતી કૌભાંડ અંગે પ્રતિક્રિયા આપતા સુખરામ રાઠવાએ કહ્યું કે ગુજરાત સરકાર ને ટેવ પડી ગઈ છે પરીક્ષા લઈને તેને રદ્દ કરવાની. એક તરફ જ્યાં વિદ્યાર્થીઓ વર્ષો સુધી સરકારી નોકરી માટે તૈયારી કરે છે ત્યારે ભાજપના રાજ માં પેપર લીક જેવી ઘટનાઓ અવારનવાર બનતી જાય છે. તેમણે કહ્યું કે છે.ભાજપ પોતાના મળતિયાઓને બચાવવા લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષામાં ભરતી કૌભાંડની સ્યાહી હજુ સુકાઈ નથી. ત્યાં ઉર્જા વિભાગની ભરતીઓને લઈ નવા આક્ષેપ થયા છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે કહ્યું કે ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોની મશ્કરી સરકારે બંધ કરવી જોઈએ. કૌભાંડમાં દર વખતે નાની માછલીઓ પકડાય છે અને મોટા માથા બચી જાય છે.
આ પણ વાંચો : યુવરાજસિંહનો હુંકાર, ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ થયું છે તે મેં પૂરવાર કર્યું
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનો મહાવિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 2265 કેસ, બે લોકોના મૃત્યુ