Gujarat Assembly Election 2022: 15મી મે થી ગુજરાતમાં ભાજપના કેન્દ્રીય નેતાઓના ધામા, ચિંતન બેઠકમાં ભાગ લેશે
અમિત શાહ, બી એલ સંતોષ, પુરસોત્તમ રૂપાલા, મનસુખ મંડવિયા ગુજરાતમાં આવશે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવશે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ પણ ફરી ગુજરાત આવશે.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને લઈ તમામ રાજકીય પક્ષો પોત-પોતાની તૈયારીમાં લાગ્યા છે. 15મી મે થી ગુજરાતમાં ભાજપ (BJP) ના કેન્દ્રીય નેતાઓના ધામા જોવા મળશે. અમિત શાહ, બી એલ સંતોષ, પુરસોત્તમ રૂપાલા, મનસુખ મંડવિયા ગુજરાતમાં આવશે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવશે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ પણ ફરી ગુજરાત આવશે. આ તમામ નેતાઓ ભાજપની ચિંતન શિબિરમાં ભાગ લેશે. અમદાવાદ જિલ્લામાં યોજાશે 2 દિવસીય ચિંતન શિબિર જોવાની છે. જેમાં સરકારના મંત્રીઓ પોતાના કામનું પ્રેઝન્ટેશન કરવાના છે.
CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં આગામી 15 અને 16મેએ ભાજપના ટોચના પદાધિકારીઓની ચિંતન શિબિર મળશે. જેમાં ભાજપની કોર કમિટી અને પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભાજપના મહામંત્રી અને સંગઠનના ટોચના આગેવાનો સહિત 40 નેતા ચૂંટણીલક્ષી રણનીતિ પર ચર્ચા કરશે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ભાજપની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit shah) બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે.જેમાં તેઓ આગામી 15 અને 16 મે ના દિવસે યોજાનારી ભાજપની ચિંતન શિબિરમાં પણ ભાગ લેશે.
વિધાનસભાની ચૂંટણીને પગલે BJPએ અત્યારથી તૈયારી આટોપી દીધી હોય તેવુ લાગી રહ્યું છે.કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે.PM મોદી 29 મેએ ગાંધીનગરમાં સહકારી મહાસંમેલનને સંબોધશે. વડાપ્રધાન પાછલા દોઢ વર્ષમાં ભાજપે જીતેલી સહકારી સંસ્થાના આગેવાનોને પણ સંબોધન કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભાજપ-કૉંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી છે. ભાજપને સીધી ટક્કર આપવા માટે હવે આમ આદમી પાર્ટીની નજર ભાજપના ગઢ પર હોય એમ લાગી રહ્યું છે. કારણ કે રાહુલ ગાંધીના દાહોદ પ્રવાસ બાદ આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મિશન સૌરાષ્ટ્ર પર રાજકોટ આવશે. બપોરે 2.45 વાગ્યે અરવિંદ કેજરીવાલ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ એરપોર્ટથી હોટેલ ઇમ્પિરીયલમાં જશે. જ્યાં સામાજિક, રાજકીય અને વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે ચર્ચા કરશે.કેજરીવાલ રાજકોટમાં શક્તિપ્રદર્શન કરી સૌરાષ્ટ્રથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. રાજકોટમાં કેજરીવાલનો રોડ શો યોજાશે ત્યારબાદ સાંજે 7.00 વાગ્યે શાસ્ત્રી મેદાન ખાતે જંગી જાહેર જનસભાને સંબોધિત કરશે. કેજરીવાલ રાજકોટમાં જ રાત્રી રોકાણ કરી 12 મેના રોજ દિલ્લી જવા રવાના થશે.