કાનમ પ્રદેશ ગણાતા ભરૂચના વિવિધ ગામોમાં કપાસના પાકને કેમિકલના કારણે વ્યાપક નુકશાન થઈ રહ્યું છે ત્યારે આમોદ તાલુકાનાં તેગવા ગામે ખેડૂતોએ કપાસના પાકની સ્મશાન યાત્રા કાઢી અનોખી રીતે વિરોધ નોધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં કેમિકલના પ્રદૂષણના કારણે ઉભો પાક નાશ પામ્યો છે.
કોટન હબ ગણાતા ભરૂચમાં કપાસ સહિતના પાક પર છેલ્લા ઘણા સમયથી કેમિકલ પ્રદુષણની વ્યાપક અસર થઇ રહી છે. ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર,વાગરા અને ભરૂચ તાલુકાની 67 હજાર હેક્ટર જમીનમાં કેમિકલના કારણે કપાસ સહિતના પાકને વ્યાપક નુકશાન થયું છે. ખેડૂતો ઊભા પાકનો ઉખાડી ફેંકવા મજબૂર બન્યા છે.
અનેક રજુઆત બાદ પણ સરકાર દ્વારા કોઈ અસરકારક પગલાં ભરવામાં ન આવતા આજરોજ આમોદ તાલુકાના તેગવા સહિતના ગામના ખેડૂતોએ આ અંગે અનોખી રીતે વિરોધ નોધાવ્યો હતો. ખેડૂતો તેમના ખેતરમાં એકઠા થયા હતા અને પાકને નનામી પર મૂકી અંતિમ યાત્રા કાઢી પાકના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોએ જણાવ્યુ હતું કે કપાસના પાકને એટલા પ્રમાણમાં નુકશાન થયું છે કે માથે હાથ દેવાનો વારો આવ્યો છે. આજે પાકની અંતિમક્રિયા કરવામાં આવી છે. ખેડૂતોએ પાક માટે જે ખર્ચો કર્યો છે એની સામે સરકાર વળતર ચૂકવેએવી માંગ કરવામાં આવી છે
આમોદ તાલુકા પંચાયત ખાતે કોંગી ધારાસભ્યની અધ્યક્ષતામાં સરપંચો અને તલાટીઓની બેઠક
આમોદ નગર સહિત પંથકમાં ખેતીના પાકમાં નુકશાની આવતા આમોદ પંથકના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. જે બાબતની અનેક રજુઆત ધારાસભ્યને મળતા આજ રોજ આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં કોંગી ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અઘ્યક્ષતામાં ગામના સરપંચ અને તલાટીઓની તાકીદની બેઠક મળી હતી. જેમાં જંબુસરના નાયબ કલેકટર, આમોદ નાયબ મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જવાબદાર કંપનીઓ સામે કડક કાર્યવાહી અને નહિવત વરસાદને કારણે પશુઓ માટે વિના મૂલ્યે ઘાસચારો પૂરો પાડે તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો : ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથની ઉજવણી કરાઈ , માતાજીના પ્રતીકસમા કાજરાને ચૂંદડી અર્પણ કરી ઉત્સવ મનાવાયો
આ પણ વાંચો : જંબુસરમાં કોંગ્રેસ પ્રમુખના ફાર્મહાઉસમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ, પ્રતિબંધિત એફેડ્રિન સાથે 3 ની ધરપકડ
Published On - 7:26 pm, Thu, 26 August 21