બોટાદ કોટન યાર્ડમાં ખેડૂતોએ હરાજી બંધ કરાવી, ખેડૂતોનું શોષણ થતું હોવાના આક્ષેપ થયા
નોંધનીય છેકે બોટાદ કોટન યાર્ડ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું કોટન યાર્ડ માનવામાં આવે છે. અહીં એવરેજ કપાસની સિઝન દરમ્યાન 1 લાખ મણ કપાસની આવક થઈ રહી છે.
બોટાદ કોટન યાર્ડમાં ખેડૂતોનું શોષણ થતું હોય તેવા આક્ષેપ ઉઠયા છે. આવા આક્ષેપો સાથે કિસાન આગોવાનોએ ખેડૂતોને સાથે યાર્ડને બંધ રખાવ્યું હતું. અને, યાર્ડમાં હરાજી બંધ કરાવી હતી. ખેડૂતો દ્વારા યાર્ડના દરવાજા પાસે બેસી ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તથા, યાર્ડમાં નિયમોમાં ફેરફાર કરવાની ખેડૂત આગેવાન દ્વારા માગ કરવામાં આવી હતી. જોકે આ મામલે યાર્ડ ચેરમેન, ડિરેક્ટર ,સેક્રેટરી ,યાર્ડ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ દ્વારા મધ્યસ્થી કરી સમાધાનનો પ્રયાસ થયો હતો. જોકે આ મામલે ખેડૂતોમાં પ્રસન્નતા ન હોવાનું ચેરમન અને ડિરેક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. જોકે, ખેડૂતો દ્વારા યાર્ડને બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવતા કાયદો અને વ્યવસ્થાના ભાગ રૂપે ખેડૂત આગેવાનો સહિત 5 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. બાદમાં રાબેતા મુજબ પોલીસને સાથે રાખી બંધ હરાજી ચેરમેન દ્વારા શરૂ કરવામાં આવી હતી.
નોંધનીય છેકે બોટાદ કોટન યાર્ડ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું કોટન યાર્ડ માનવામાં આવે છે. અહીં એવરેજ કપાસની સિઝન દરમ્યાન 1 લાખ મણ કપાસની આવક થઈ રહી છે. ત્યારે આજે ખેડૂતો આગેવાનો તેમજ અન્ય કાર્યકરો દ્વારા બોટાદ યાર્ડ ખાતે પહોંચી યાર્ડમાં ખેડૂતો સાથે અન્યાય અને જિન માલિકો દ્વારા શોષણ કરવામાં આવતું હોય તેવી મળેલ રજુવાતને ધ્યાને લઇ યાર્ડમાં ચાલતી હરાજી બંધ કરાવવામાં આવી હતી. અને, ખેડૂતો ને એકત્રિત કરી યાર્ડના મુખ્ય પ્રવેશ માર્ગ પર સુત્રોચ્ચાર સાથે ધરણાં કરવામાં આવ્યા હતા. જેને લઈ પાળીયાદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સહિત પોલીસ યાર્ડ ખાતે પહોંચી ગયા હતા. અને, પોલીસે ખેડૂત આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.પણ તેમ છતાં આગેવાનો સમજવા તૈયાર ન હોય ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમ પણ પોતાના કાફલા સાથે યાર્ડ ખાતે પહોંચ્યા હતાં.
જ્યાં ખેડૂત આગેવાન તરીકે આવેલ રાજુભાઈ કરપડા સાથે વાતચીત કરતા ખેડૂતોને હરાજીમાં નક્કી કરાયેલ ભાવ બાદ જિન વેપારી ઓછા રૂપિયા આપે છે તેમજ ખેડૂત દ્વારા જિન સુધી જવા માટે વાહનના ખર્ચનું ભાડું વેપારીઓએ ચૂકવવું તેવી રજુવાત કરવામાં આવી હતી. જે રજુવાતને લઈ યાર્ડ ચેરમેન જીવરાજભાઈ પટેલ,યાર્ડ ડિરેક્ટર કનુભાઈ ધાંધલ,યાર્ડ સેક્રેટરી અનકભાઈ મોભ,યાર્ડ ઇન્સ્પેક્ટર ભુપતભાઈ ધાંધલ ,રામકુંભાઈ ધાંધલ સહિતના યાર્ડ ખાતે પહોંચ્યા. અને ખેડૂત આગેવાન તરીકે અન્ય જિલ્લામાંથી આવેલા રાજુભાઈ કરપડાની માંગણી વ્યાજબી ન હોય માત્ર યાર્ડને બાનમાં લેવાનો પ્રયાસ કરી કાયદો અને વ્યવસ્થા બગડવાની વાત હોય તેવા આક્ષેપ ચેરમેન દ્વારા કરવામાં આવ્યા હતા.
જેને લઈ કાયદો અને વ્યવસ્થાના ભાગ રૂપે ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમની સૂચના મુજબ ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા અને પરસોતમ ગાબુ સહિત 5 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેમજ પોલીસને સાથે રાખી ચેરમેન અને ડીરેક્ટર દ્વારા બંધ હરાજી ફરી શરૂ કરવામાં આવી હતી. અને ખેડૂતોને કોઈ પણ પ્રસન્ન ન હોવાનું જણાવી માત્ર આ અસામાજિક તત્વો ખેડૂતોને ગેરમાર્ગે દોરી યાર્ડ ને બાનમાં લઇ હેરાન કરવા માંગતા હોય તેવા આક્ષેપ સાથે ચેરમેન, ડિરેક્ટર તેમજ પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું.