અમદાવાદ(Ahmedabad) કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટી(Standing committee) ની બેઠકમાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કામો(Development Work) ની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ શહેરમાં બેકાબૂ બનેલા રોગચાળાને નાથવા માટે પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આ બેઠક એટલા માટે ખાસ રહી કેમ કે તેમાં વિકાસના કામો સાથે પ્રજાલક્ષી કામોની ચર્ચા સાથે રોગચાળા મુદ્દે ચર્ચા કરાઈ તો જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ ત્રણ કામ હતા. જેમાં પહેલા કામમાં ટોરેન્ટનું કામ રદ કરાયું. તો બીજા નંબર ના કામમાં એએમસીના બજેટનો મુદ્દો હતો. જ્યારે ત્રીજું કામ વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને યુનિફોર્મ મામલે સીધા નાણાં આપવાનું હતું જે પાસ કરવામાં આવ્યું હતું.
જ્યારે કોરોના કાળમાં એએમસીની આવક વધી હોવાનો ચેરમેનનો દાવો કર્યો હતો. એએમસી સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશ બારોટ નિવેદન આપતા જણાવ્યું કે. વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષમાં 4497 કરોડ રેવન્યુ આવક થઈ. જે આવક સામે 3994 કરોડ ખર્ચ થયો. જેમાં કુલ 2265 કરોડના કેપિટલ ખર્ચ હતો. તો બજેટમા જાહેર કરાયેલ કામ પૂર્ણતાના આરે હોવાનું પણ ચેરમેને નિવેદન આપ્યું હતું.
આની સાથે જ વર્ષ ૨૦૨૦- ૨૧ માં રેવન્યુ આવકમાં 502 કરોડ રૂપિયા વધ્યા હોવાનું જણાવી શહેરમાં વિકાસના કામો વધુ ઝડપથી થશે તેવી પણ ખાતરી આપી.
રોગચાળા મુદ્દે પણ થઈ ચર્ચા.
અમદાવાદ શહેરમાં રોગચાળો વધી રહ્યો છે. ચિકનગુનિયા ડેન્ગ્યુ મેલેરીયા ઝાડા ઉલટી સહિત ના ભોગ લોકો બની રહ્યા છે. ત્યારે રોગચાળાનો મુદ્દો સ્ટેન્ડિંગ કમિટી માં મુખ્ય રહ્યો હતો. સભ્યો દ્વારા વધતા જતા રોગચાળાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. રોગચાળો વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે શનિવાર અને રવિવારની રજાઓમાં પણ ખાતાની કામગીરી ચાલુ રહેશે. તો ઘરમાં વધુને વધુ ફોગીંગ હાથ ધરી દવાનો છંટકાવ થાય તે પણ નક્કી કરાયું.
આ સાથે સફાઈ બરોબર થાય તેની પણ તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે. તહેવારો આવી રહ્યા છે ત્યારે અખાદ્ય ખોરાકને વધુ ને વધુ સેમ્પલ લેવાની તાકીદ પણ કરવામાં આવી છે. જોકે શ્રાવણ મહિનો અડધો પૂરો થવા આવ્યો તેમજ રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી છે. તેવા સમયે માત્ર અત્યાર સુધી 38 સેમ્પલ લેવામાં આવ્યા છે. જોકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી છે.
તળાવના વિકાસના કામની સમીક્ષા
એકવાર ફરી અમદાવાદ મહાનગર પાલિકાને લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમની દુર્દશાની ચિંતા થઈ છે અને આગામી દિવસોમાં તેને ડેવલપ કરવાની વાત કરવામાં આવી છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લાલ બહાદુર સ્ટેડિયમની વર્તમાન સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી.
જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂઆત કરવામાં આવી કે બાપુનગર માં આવેલું સ્ટેડિયમ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. તો એસટીપી પ્લાન્ટની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે.
સફાઈના અભાવે મચ્છરોનો ઉપદ્રવ થયો છે. આમ આ તળાવને લઈને વિકાસ કામગીરી કરવી જરૂરી છે. જે રજૂઆતને જોતા આ તળાવને વિકાસ કરવાની વાત ફરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ તળાવને લઈને કામગીરી હાથ ધરાશે તેવી વાત સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર કરી. જો તેમ થશે તો શહેરમાં બીજા નંબરનું આ મોટું તળાવ બનશે.
જેનાથી સ્થાનિકોને સારી સુવિધા પણ મળી રહેશે. જોકે તેના માટે કેટલાક લોકોને સ્થળાંતર પણ કરવા પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચંડોળા તળાવ અને લાલ બહાદુર શાસ્ત્રી તળાવ સહિતના તળાવોના વિકાસ માટેની વાત છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહી છે પરંતુ તે વાત હજુ માત્ર કાગળ. ત્યારે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે તે તળાવનો વિકાસ થાય. અને લોકો ને સુવિધા મળી રહે.
વરસાદના કારણે શહેરમાં દર વર્ષે રસ્તાઓ ધોવાઈ જતા હોય છે. તેમજ રસ્તા પર ખાડા પડતા હોય છે. આ વર્ષે ચાલુ સીઝનમાં 10899 ખાડા પડયાનું સામે આવ્યું છે. જેમાં વરસાદ બંધ પડતા એએમસી દ્વારા કામગીરી શરૂ કરી ખાડા પુરવાનું શરૂ કરાયુ છે. જે સમસ્યાનો મુદ્દો સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં પણ ચર્ચાયો હતો.
મળતી માહિતી પ્રમાણે આ વર્ષે ચાલુ સીઝનમાં શહેરમાં 10899 ઉપર ખાડા પડયાનું સામે આવ્યુ છે. જેમાં 10611 ખાડાનું કામ પૂરું કરાયું. તો 288 ખાડા પુરવાનું કામ બાકી છે. તો ચાલુ સપ્તાહે 2200 ઉપર ખાડા પુરી પેચવર્કના કામ કર્યાનું પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને નિવેદન આપ્યું હતું. જે સમગ્ર કામગીરી પ્રિ-મોન્સૂન પ્લાનના ભાગ રૂપે કરવામાં આવી હોવાનું એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું.
આ પણ વાંચો : બોલીવુડ કલાકાર Milind Soman એ મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રન ફોર યુનિટીનો પ્રારંભ કર્યો
આ પણ વાંચો : આ નવાબે પોતાના પાલતુ કૂતરાના લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, દોઢ લાખથી વધુ મહેમાનો રહ્યા હતા હાજર, જુઓ Photos