દેવભૂમિ દ્વારકાઃ જગત મંદિર ખાતે યોજાશે રથયાત્રા, ફેરીબોટ બંધ થતા પ્રવાસીઓ નહીં જઈ શકે બેટ દ્વારકા
Rathyatra 2022: દેવભૂમિ દ્વારિકા (Devbhoomi Dwarka)ખાતે રણછોડરાયની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અને દૂરસુદૂરથી ભક્તજનો આ વિશેષ દર્શન માટે દ્વારકા પહોંચી રહ્યા છે જોકે ફેરી બોટ સર્વિસ બંધ થતા તેઓ દ્વારકાથી બેટ દ્વારકા જઈ શકશે નહીં.
Rathyatra 2022: દેવભૂમિ દ્વારકા (Devbhoomi dwarka)ખાતે આવેલા પ્રસિદ્ધ જગત મંદિર ખાતે રણછોડ રાયની રથયાત્રાની (Dwarka Rathyatra 2022)તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મંદિરમાં અષાઢી બીજ ના દિવસે સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી રથયાત્રા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વારાદાર પૂજારીથી માંડીને ભાવિક ભક્તો, દેવસ્થાન સમિતિના કર્મચારીઓ અને સ્થાનિક દર્શનાર્થીઓથી માંડીને પ્રવાસીઓ -તમામ આ દર્શનનો લ્હાવો લઈ શકશે.
જગત મંદિર ખાતે યોજાશે રથયાત્રા ઉત્સવ
રથયાત્રા નિમિત્તે ભગવાનને મંદિર સંકુલની પરિક્રમા કરાવવામાં આવતી હોય છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પણ આ રથયાત્રાની તૈયારીઓ માટે બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. રથયાત્રા નિમિત્તે દ્વારિકાધીશના બાલ સ્વરૂપને ભવ્ય વાઘાનો શણગાર કરવામાં આવતા હોય છે તેમજ રથમાં બિરાજમાન કરાવીને મંદિરની પરિક્રમા કરાવવામાં આવતી હોય છે.
આ દિવસે ભગવાનને વિશેષ થાળ પણ ધરાવવામાં આવે છે. ગત વર્ષે કોરોનાકાળ દરમિયાન ભક્તજનો વિના ફક્ત પૂજારી પરિવારે જ દ્વારિકાધીશની રથયાત્રા સંપન્ન કરી હતી. ત્યારે આ વર્ષે ભક્તજનો રથયાત્રના દર્શન કરવા આતુર છે. જગત મંદિર ખાતે યોજાતી રથયાત્રાના દર્શન માટે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ દૂરદૂરથી આવતા હોય છે ત્યારે પ્રવાસીઓ દ્વારકાથી બેટ દ્વારકા દર્શન કરવા જવા ઇચ્છતા હોય છે જો કે દરિયામાં કરંટને પગલે ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવતા પ્રવાસીઓ બેટ દ્વારકા જઈ શકયા નહોતા.
દ્વારકા દર્શને આવેલા પ્રવાસીઓ નહીં જઈ શકે બેટ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રથયાત્રાના દર્શન કરવા માટે પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે ત્યારે દ્વારકા દર્શન કરીને બેટદ્વારકા દર્શન કરવા માટે જતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાયા છે કારણ કે હવામાન વિભાગની આગાહીને પગલે દરિયા ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવાતા ફેરી બોટ સર્વિસં બંધ કરવામાં આવી છે. દરિયામાં ભારે પવનના લીધે સાવચેતીના ભાગરૂપે બોટ સર્વિસ બંધ કરાવવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બદલાયેલા હવામાન તેમજ અમાસને કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે દરિયામાં કરંટ સર્જાવા પામ્યો છે, હવામાન વિભાગ દ્વારા દરિયો તોફાની રહેશે તેવી ચેતવણી આપવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં દરિયાકાંઠે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે તેમજ પવન ફૂંકાશે. ત્યારે આ આગાહીને પગલે તંત્ર સાબદું કરવામાં આવ્યું છે અને ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.