કાનુડાની ગાયો 450 કિલોમીટરની પદયાત્રા કરીને પહોંચી કાળિયા ઠાકરના દર્શને, એવું તે શું થયું કે મધરાતે ગૌમાતા માટે ખૂલ્યા જગત મંદિરના દ્વાર !
જગત મંદિર પહોંચેલી 25 ગાયો મૂળ કચ્છ જિલ્લાના રહેવાસી મહાદેવ દેસાઈની ગૌશાળાની છે. તેણે જણાવ્યું કે બે મહિના પહેલા તેની ગૌશાળાની તમામ ગાયો (COW) લમ્પી વારયસનો શિકાર બની હતી. તે સમયે તેમણે માનતા માની હતી કે જેવી ગાયો આ વાયરસથી સ્વસ્થ થઈ જશે, હું પણ આ ગાયો સાથે દ્વારકા મંદિરમાં દર્શન કરવા જઈશ.
સામાન્ય રીતે એવું થતું હોય છે કે ભાવિક ભક્તોના સંઘ પગપાળા- ચાલીને ઇશ્વરના સાનિધ્યમાં દર્શન માટે પહોંચતા હોય છે. પરંતુ દેવભૂમિ દ્વારકા ખાતે એવી ઘટના બની હતી. જે જોઈને દ્વારકાના નિવાસીઓ પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. ગોકુળમાં એવું થતું હતું કે કાનુડાની વાંસળી વાગે અને ગાયનો ધણના ધણ દોડીને કૃષ્ણની આસપાસ વિંંટળાઈ જતા હતા. કંઇક એવો જ નજારો દ્વારકામાં મધરાતે સર્જાયો હતો. અને , 25 ગાયોએ જગતમંદિરમાં કાળિયાઠાકરના દર્શન કર્યા હતા. કચ્છના પશુપાલક મહાદેવ દેસાઈ પોતાની ગાયોના ધણ સાથે દ્વારકા પહોંચ્યા હતા. અને પોતાની બાધા પૂર્ણ કરીને દ્વારિકાધીશના દર્શન કરીને ગાયોને પ્રસાદી પણ આપી હતી. તો ચાલો જાણીએ એવું તે શું થયું હતું કે ગૌમાતા માટે જગત મંદિરના દ્વાર ખોલવા પડ્યા.
જાણો શું છે સમગ્ર ઘટના?
જગત મંદિર પહોંચેલી 25 ગાયો મૂળ કચ્છ જિલ્લાના રહેવાસી મહાદેવ દેસાઈની ગૌશાળાની છે. તેણે જણાવ્યું કે બે મહિના પહેલા તેની ગૌશાળાની તમામ ગાયો લમ્પી વારયસનો શિકાર બની હતી. તે સમયે તેમણે માનતા માની હતી કે જેવી ગાયો આ વાયરસથી સ્વસ્થ થઈ જશે, હું પણ આ ગાયો સાથે દ્વારકા મંદિરમાં દર્શન કરવા જઈશ. નોંધનીય છે કે ચોમાસા બાદ રાજ્યમાં ઘણી બધી ગાયો લમ્પી વાયરસનો ભોગ બની હતી. તેમાંથી મહાદેવ ભાઈની ગાયો બચી ગઈ હતી. માવજીભાઈ 25 ગાય અને 5 ગોવાળ સાથે 17 દિવસનું અંતર કાપીને 21મી નવેમ્બરના રોજ દ્વારકા મંદિરે પહોંચ્યા હતા. કચ્છના રાપર તાલુકાના મેડક બેટના રહેવાસી મહાદેવભાઇ દેસાઈ માલધારી છે . સ્વાભાવિક છે કે માલધારીઓ માટે તેમના પશુઓ પણ સ્વજનો સમાન હોય છે. જ્યારે વ્યક્તિના નિકટના સ્વજન ઉપર મુશ્કેલી આવે ત્યારે તેમાંથી બહાર નીકળવા વ્યક્તિ ઇશ્વરના શરણે જાય છે. અને બાધા અને માનતા માને છે તે જ રીતે મહાદેવભાઈએ પણ મનોમન દ્વારિકાધીશનું શરણું લીધું હતું. દ્વારકા પહોંચેલા મહાદેવ દેસાઈએ જગતમંદિરની પરિક્રમા કરીને 25 ગૌમાતા સાથે મંદિરમાં પ્રવેશી દ્વારકાધીશનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઘટના જગતમંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત ઘટી છે. અને વહીવટી તંત્રએ ગાયો માટે જગતમંદિરનાં દ્વાર ખોલી લોકોની સાથે ગૌધન માટે સારું કાર્ય કરતા લોકોએ પ્રશંસા કરી હતી.
મંદિર તંત્રએ કરી ખાસ વ્યવસ્થા
દિવસના સમયે ભક્તજનોનો ધસારો હોય અને ગાયને દર્શન કરાવવામાં આવે તો અડચણ ઉભી થઈ શકે આવી પરિસ્થિતિમાં મંદિર તંત્ર દ્વારા અસુવિધા ઉભી ન થાય તે માટે રાત્રિનો સમય આપવામાં આવ્યો હતો અને બુધવારે મધરાતે ગૌમાતા માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા . માલધારી મહાદેવભાઈએ મંદિરની પ્રદક્ષિણા કરી હતી અને મંદિરના પ્રસાદ પોતાની ગાયોને ખવડાવ્યો હતો. મધરાતે આ પ્રકારે ગાયો દર્શન કરવા આવી હતી તે જોઈને દ્વારકા મંદિરના પરિસરમાં અને દ્વાર પાસે ઉભેલા લોકો ભાવ વિભોર થઈ ગયા હતા.