રાહુલ ગાંધી ન્યાય યાત્રા આજે ગુજરાતમાં એન્ટ્રી કરશે. એક તરફ રાહુલ જ્યારે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અહિં તુટી રહી છે. આજથી 4 દિવસ ગુજરાતમાં રાહુલ ગાંધી ન્યાયયાત્રા ચાલશે. રાજસ્થાનના બાંસવાડાથી બપોરે ત્રણ વાગ્યે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી ન્યાયયાત્રાનો ગુજરાતમાં પ્રવેશ થશે.
સાડા ત્રણ વાગ્યે ઝાલોદ ખાતે રાહુલ ગાંધી જાહેરસભાને સંબોધન કરશે. બાદમાં ન્યાયયાત્રા ઝાલોદથી નીકળીને લીંમડી ખાતે પહોંચશે. રાહુલ ગાંધી અહીં લીંમડી ખાતે રાત્રિરોકાણ કરશે. ન્યાયયાત્રાના 4 દિવસમાં રાહુલ ગાંધી ગુજરાતના 7 જિલ્લા ખૂંદી વળશે. રાહુલ ગાંધી ગુજરાતમાં 400 કિલોમીટર જેટલો પ્રવાસ કરશે.
રાહુલ ગાંધી મુખ્યત્વે આદિવાસી બેલ્ટમાં યાત્રા કરીને તમામ લોકોને કોંગ્રેસ તરફ આકર્ષવાનો પ્રયત્ન કરશે. રાહુલની એન્ટ્રી થાય તે પહેલા કોંગ્રેસના અનેક નેતાઓએ પક્ષપલટો કર્યો છે. એટલે કોંગ્રેસના સામાન્ય કાર્યકર્તાઓથી લઈને નેતાઓમાં જોશ પૂરવાના હેતુથી પણ કોંગ્રેસ માટે આ યાત્રા મહત્વની માનવામા આવે છે.
રાહુલ ગાંધીની યાત્રાની વાત કરવામાં આવે તો તેમની યાત્રા 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટરની યાત્રા કરશે. 6 સભાઓ, 27 કોર્નર બેઠક કરશે. તેમનું 70 સ્થળોએ સ્વાગત કરવામાં આવશે. એટલે રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન રાહુલ પોતે અનેક વિસ્તારોને કવર કરવાના છે, આ તમામ વિસ્તારો કોંગ્રેસ માટે અતિ મહત્વના માનવામાં આવે છે. રાહુલ પોતાની યાત્રા દરમિયાન અલગ અલગ સ્થળની પણ મુલાકાત લેવાના છે જેમાં મહત્વની મુલાકાત કંબોઈ ધામ, પાવાગઢ મંદિર, હરસિદ્ધિ માતાજી મંદિર , સ્વરાજ આશ્રમ બારડોલીનો સમાવેશ થાય છે.
રાહુલ ગાંધીના રૂટ પર નજર કરીએ તો રાહુલ ગાંધી આ 7 જિલ્લાને પોતાની ન્યાયયાત્રામાં આવરી લેશે. બપોરે 3 કલાકે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતમાં પ્રવેશ કરશે. ઝાલોદમાં સાંજે 4 કલાકે રાહુલ ગાંધીની ગુજરાતમાં પ્રથમ જાહેરસભા છે. રાહુલ ગાંધી લીંમડીમાં રાત્રી રોકાણ કરશે. 8 માર્ચે સવારે 8 કલાકે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે. સવારે 11 કલાકે પીપલોદ ખાતે યાત્રાનું સ્વાગત થશે. પંચમહાલના ગોધરામાં બપોરના ભોજન બાદ હાલોલ પહોંચશે.
હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મિટિંગ અને સ્વાગતનું આયોજન છે.
રાહુલ ગાંધી પાવાગઢ મંદિર ખાતે દર્શન કરી શકે છે. પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુઘોડા યાત્રા પહોંચશે. 9 માર્ચે સવારે આઠ કલાકે બોડેલી ખાતે પદયાત્રા કરશે. બોડેલથી નસવાડી પહોંચી કોર્નર બેઠક યોજશે. નસવાડીથી રાજપીપળા પહોંચી પદયાત્રા અને ભોજનનું આયોજન છે. રાજપીપળાથી કાલાઘોડા ખાતે સ્વાગત કાર્યક્રમ છે.
10 તારીખે સવારે માંડવી ખાતે યાત્રાનું આગમન થશે. માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત રાહુલ ગાંધી લેશે. યાત્રા બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે. વ્યારાથી સોનગઢ પહોંચી મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે. 10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં યાત્રા પ્રવેશ કરશે.