ChhotaUdepur : પ્રાણીઓને જંગલમાં પીવાનું પાણી નહીં મળતા વન ખાતા સામે સવાલ ઉઠાવતી ગ્રામ્ય પ્રજા
ડુંગરવાંટ રેન્જ વિસ્તારમાં 2016-17 ની ગણત્રી પ્રમાણે દીપડાની સંખ્યા 25 હતી. હયાત સંખ્યા 20 છે. ઝરખ 22, રીંછ 24, નીલગાય 103, અને સાહુડીની 2ની સંખ્યા છે. જોકે હાલની સંખ્યામાં વધારો હોય શકે છે.
જળ એ જીવન છે પાણી વગર મનુષ્ય હોય કે પ્રાણી, પાણી વગર કોઈ પણનું જીવન શક્ય છે જ નહીં. ઉનાળાની શરૂઆત થતાજ પાણીની અછત સર્જાતા લોકો પાણી પાણીની બુમરાણ મચાવે છે. ગમે તેમ કરી ને પણ મનુષ્ય પાણી મેળવી પોતાનું જીવન ટકાવી લે છે પણ જંગલમાં રહેતા પ્રાણીઓને જો આવી કાળજાળ ગરમીમાં પાણી ન મળે તો તેની સ્થિતિનો અંદાજો લગાવો ઘણો મુશ્કેલ બની જાય છે.
છોટાઉદેપુર જિલ્લો ખાસ કરીને જંગલ અને ડુંગર વિસ્તારોથી ઘેરાયેલ છે. પાવી જેતપુર તાલુકાની જો વાત કરવામાં આવે તો ચારો તરફ ડુંગર અને જંગલનો મોટો વિસ્તાર છે. ડુંગરવાંટ રેન્જ વિસ્તારમાં 2016-17 ની ગણત્રી પ્રમાણે દીપડાની સંખ્યા 25 હતી. હયાત સંખ્યા 20 છે. ઝરખ 22, રીંછ 24, નીલગાય 103, અને સાહુડીની 2ની સંખ્યા છે. જોકે હાલની સંખ્યામાં વધારો હોય શકે છે.
પાવી જેતપુર તાલુકાના આ વિસ્તારોના ડુંગરો અને જંગલોમાં જંગલી જાનવરોને પીવાનું પાણી મળે તે માટે પાણીના કુંડો બનાવવામાં આવ્યા છે. જંગલ અને ડુંગર વિસ્તારો કાળજાળ ગરમી પડી રહી છે. આ વિસ્તારમાં પાણીના તમામ સ્ત્રોત સુકાય ગયા છે. આ કૃત્રિમ પાણીના પોઈન્ટ વન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યા છે. જેને લઈને સવાલો ઉઠ્યા છે કે પાણીના કુંડાઓ વન વિભાગ દ્વારા ભરાતાં હશે કે કેમ ? કારણ કે ડુંગરવાંટ રેન્જ વિભાગના જંગલો નજીક્ કેટલાય ગામો આવેલા છે કે જ્યાં જંગલમાં પીવાનું પાણી ન મળતા જંગલી જાનવરો ગ્રામ્ય વિસ્તારમાં પાણીની શોધમાં આવી ચડે છે. ઘણી વાર ગામના ખુલ્લા કૂવાઓમાં પ્રાણીઓના પડી જવાના બનાવો પણ ભૂતકાલમાં બની ચૂક્યા છે તેમજ હિંસક પ્રાણીઓના માનવો સાથેની અથડામણના પણ બનાવો બન્યા છે. આમ રહેણાંક વિસ્તારમાં જંગલી પ્રાણીઓની વધતી જતી અવર જવરનો ભોગ લોકો બની રહ્યા છે. જેથી ગ્રામ્ય વિસ્તાના લોકોનું કહેવું છે કે જો વન વિભાગ જંગલમાં જ પૂરતા પીવાના પાણીની વ્યવસ્થા કરી આપે તો જંગલનું કોઈ પ્રાણી આવી ગરમીમાં પીવાના પાણી માટે થઈને હેરાન ન થાય અને માનવો અને જંગલી જાનવરોના અથડાવવાના બનાવો ન બને.