ચૌધરી આદિવાસી સમાજે જુના કુરિવાજોનો ત્યાગ કરવાનો લીધો નિર્ણય, સમાજનું નવુ બંધારણ બનાવ્યુ, આ નવા નિયમોનો અમલ થશે
દક્ષિણ ગુજરાતના (South Gujarat) ચૌધરી આદિવાસી સમાજ દ્વારા આગામી પેઢીને આર્થિક તકલીફો ન પડે અને સમાજની જૂની પરંપરા (Tradition) જળવાઈ રહે તેવા ઉમદા હેતનું નવું બંધારણ નક્કી કરાયું છે.
દીકરા કે દીકરીના ધૂમ-ધામથી લગ્ન કરવા એ દરેક માતા-પિતાનું જીવનનું એક મહત્વનું સ્વપ્ન હોય છે. પરંતુ મોંઘવારીના (Inflation) વધતા માર વચ્ચે સામાન્ય પરિવારો માટે લગ્નના રિવાજો (Wedding Tradition) અને ખર્ચ પરવડતો નથી. ફિલ્મોના પ્રભાવ તળે નવા-રિવાજો અને સોના-ચાંદીની મોંઘી ભેટની આપ-લે વધી છે. જે પૂર્ણ કરવા અનેક પરિવારો દેવું કરવા મજબૂર બને છે. જો કે દક્ષિણ ગુજરાતના ચૌધરી આદિવાસી સમાજે (Chaudhary tribal Community) કુરિવાજો નાબૂદ કરવા મહત્વની પહેલ કરી છે. ચૌધરી આદિવાસી સમાજે 33 જેટલા સુધારા સાથેનું એક નવું બંધારણ બનાવ્યું છે. જે આગામી એક જૂનથી અમલી બનશે.
દક્ષિણ ગુજરાતના ચૌધરી આદિવાસી સમાજના નવા બંધારણ હેઠળ ઘરમાં પોતાની આગવી બોલી બોલવાનો નિયમ નક્કી કરાયો છે. આ ઉપરાંત સગાઈ, લગ્ન અને મરણ પ્રસંગમાં સામાજિક ખર્ચા ઘટાડવા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં સગાઈમાં સોનાની વિંટી પહેરાવવાની અને કેક કાપવાની પ્રથા નાબૂદ કરવામાં આવી. સગાઈ પ્રસંગે જમણવાર અને સાકર-પડોથી પ્રથા પણ બંધ કરાઈ. લગ્ન પ્રસંગે ગામમાં કંકોત્રી વહેંચવાને બદલે ફક્ત નોંતરૂ આપવાનું નક્કી કરાયું છે. તો લગ્નમાં પ્રી-વેડિંગ શૂટ બંધ કરવાનો અને રાત્રે 1-30 પછી ડીજે વગાડવાનું બંધ કરાશે.
અન્ય નિયમોની વાત કરીએ તો લગ્નની વિધિ દરમિયાન સોનાનું નહીં ફરજિયાત ચાંદીનું જ મંગળસૂત્ર પહેરાવવું પડશે. તો કોઈ વ્યક્તિના મરણ પ્રસંગે જમણવારનું આયોજન ન કરવાનું સર્વાનુમતે નક્કી કરાયું. જ્યારે સામાજિક પ્રસંગોએ બીડી અને તમાકુની થાળી ન રાખવાનો નિર્ણય લેવાયો.
દક્ષિણ ગુજરાતના ચૌધરી આદિવાસી સમાજ દ્વારા આગામી પેઢીને આર્થિક તકલીફો ન પડે અને સમાજની જૂની પરંપરા જળવાઈ રહે તેવા ઉમદા હેતનું નવું બંધારણ નક્કી કરાયું છે. આ બંધારણની બુક બનાવીને ગામના દરેક ઘરે વિતરીત કરવામાં આવશે.
કાછલ દૂધ મંડળીના પ્રમુખ રવીન્દ્રભાઈ ચૌધરી, નરેનભાઇ ચૌધરીની આગેવાની હેઠળ બેઠક યોજાઈ હતી, જે બાદ આ નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયો થકી સામાજિક ખર્ચ ઘટાડી શકાશે અને લોકોની જીવનશૈલી ઉંચી આવશે. ચૌધરી આદિવાસી સમાજે નવા બંધારણમાં કેટલાક એવા રિવાજો દૂર કર્યા છે જેમાં બિનજરૂરી ખર્ચા થતા હતા. સમાજના લોકો માટે આ ખર્ચા તોતિંગ હતા. તેથી જ આ ખર્ચાઓ પર કાપ મૂકાય તે માટે સમાજના આગેવાનો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહુવા તાલુકાના કાછલ ગામના સમસ્ત ચૌધરી સમાજના આગેવાનોએ કરેલા નિર્ણયને સૌ સમર્થન આપી રહ્યાં છે. સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ લગ્ન અને સગાઈમાં વધેલી દેખાદેખી અને સોનુ આપવાના રિવાજથી અનેક પરિવારો દેવું કરવા મજબૂર બને છે. કાછલ ગામની બંધારણ સભાના નિર્ણયને યુવાનો અને ચૂંટાયેલા આગેવાનોએ સહર્ષ વધાવ્યો. સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચા બંધ થતા જ શિક્ષણ, આરોગ્યમાં લોકો વધુ રૂપિયા ખર્ચશે. આ ઉપરાંત ગામમાં વિકાસ કાર્યો થતા સમૃદ્ધિમાં વધારો થશે.