Breaking News : ભાવનગરના મહુવામાં માલણ નદી પરનો 50 વર્ષ જૂનો કોઝવે પુલ ધરાશાયી, 30થી વધુ ગામોનો તૂટ્યો સંપર્ક! જુઓ Video
ભાવનગરના મહુવા તાલુકાનો સૌથી મોટો માલણ નદી પર આવેલો 50 વર્ષ જૂનો કોઝવે પુલ રિનોવેશન કામ દરમિયાન ધરાશાયી થયો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 30થી વધુ ગામોને જોડતો આ મુખ્ય માર્ગ બંધ થતા હજારો ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

ભાવનગર જિલ્લાના મહુવામાં માલણ નદી પર આવેલો અંદાજે અડધી સદી જૂનો પુલ રિનોવેશન દરમિયાન એક તરફથી બેસી ગયો. આ પુલ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. ગયા વર્ષે ચોમાસા દરમિયાન આ પુલની પ્રોટેક્શન વોલ ધોવાઈ ગઈ હતી, જેના કારણે તે જોખમી બન્યો હતો. જો તંત્રએ સમયસર જાગીને કામગીરી કરી હોત, તો કદાચ આજે આ સ્થિતિ સર્જાઈ ન હોત.
આ પુલની ઘટના બનતા જ રાત્રિના સમયે મામલતદાર, પોલીસ કાફલો અને વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. પુલ ધરાશાયી થતા 30થી વધુ ગામોને જોડતો આ મુખ્ય માર્ગ બંધ થયો છે જેનાથી હજારો ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.
રિનોવેશનનું કામ માત્ર 22 લાખ રૂપિયાના ખર્ચે
આશ્ચર્યની વાત એ છે કે, નવા પુલ માટે સરકારમાં અગાઉ દરખાસ્ત કરવામાં આવી હોવા છતાં તેને મંજૂરી મળી નથી. હાલમાં 22 લાખ રૂપિયાના ખર્ચે માત્ર રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન જ ‘લેન્ડ સ્લાઈડિંગ’ જેવી સ્થિતિ સર્જાતા પુલનો એક ભાગ બેસી ગયો. મહુવા સ્ટેટ આર.એન.બી ના અધિકારી દ્વારા જાણકારી આપવામાં આવી કે “ગયા ચોમાસામાં 30 મીટરની દીવાલ અને રેલિંગ તૂટી હતી, જેનું રિનોવેશન કામ ચાલુ હતું. એ દરમિયાન આ બનાવ બન્યો છે. હાલ અમે નજીકમાંથી ડાયવર્ઝન આપવાની કામગીરી શરૂ કરી છે જેથી ગ્રામજનોને હાલાકી ન પડે.
સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
માલણ નદી પરના કોઝવે પુલને લઈ સ્થાનિક લોકોનું કહેવું છે કે સમયસર રીનોવેશન કરવાની જરૂર હતી પરંતુ તંત્ર ભલે હવે ડાયવર્ઝનની વાતો કરતું હોય, પરંતુ સ્થાનિકોની એક જ માંગ છે કે રિનોવેશનના થીગડા મારવાને બદલે સરકાર સત્વરે નવા પુલની દરખાસ્ત મંજૂર કરે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય ચોમાસાના આડે હવે ખૂબ જ થોડા દિવસો બાકી રહ્યા છે જો સમયસર આ રિનોવેશન કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ પુલ બંધ થવાના કારણે ઈમરજન્સી સેવાઓ પણ પાંચ કિલોમીટર ફરીને આપવી પડે તેવી પરિસ્થિતિ બની છે