ભાવનગરમાં (Bhavnagar)અઠવાડિયા પહેલા આવેલા વરસાદ બાદ મેહુલિયો ગાયબ થઈ ગયો હતો, પરંતુ ગત રોજ વરસાદે (Rain) તોફાની એન્ટ્રી કરતા મહુવાને ઘમરોળ્યું હતુ. વીજળીના કડાકા ભડાકા સાથે આવેલા વરસાદથી વાતાવરણ ઠંડું થઈ જતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. જોકે વરસાદથી ભાવનગરના રસ્તાઓ પર ઘૂંટણસમાણા પાણી ભરાઈ ગયા હતા. ભાવનગરના મહુવા, કુંભારવાડા, તલાવડી, કાળિયાબીડ જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હેરાન થઈ ગયા હતા.
મહુવા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર નાનાજાદરા, ભાદરા, ધુધાળા, નેસવડ, તાવેડા, ઉમનીયાવદર, તારેડ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ગત રોજ ગીજવીજ સાથે આવેલા વરસાદથી મનરેગા યોજનામાં કામ કરતા અને ઘરે પરત ફરતા બે મજૂરો જે કાકા ભત્રીજા હતા તેઓ પર વીજળી પડતા તેમના મોત થયા હતા. યુવક સંજય ભૂપત મકવાણા અને તેની માતા વાલુબેન ભુપત મકવાણા મજૂરી કામ કરી રહ્યા હતા. આ સમયે તેનો ભત્રીજો રવિ રાજુ મકવાણા પણ ત્યાં જ હતો. તે વખતે વીજળી પડતા એકજ પરિવારના કાકા ભત્રીજાનાં મોત થયાં હતાં. જ્યારે માતા વાલુબેનને ગંભીર હાલતે વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભાવનગરમાં હજી પણ પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ નથી ત્યારે એકથી બે વારના વરસાદમાં જે પાણી ભરાયુ ંછે તે જોતા શહેરની હાલત ભારે વરસાદમાં કફોડી થાય તેવું લાગી રહ્યું છે, વરસાદ પહેલા દરેક મહાનગર પાલિકા કે પાલિકાએ ચોમાસા પહેલાં રોડના સમારકામનું કામ પૂર્ણ કરવાનું હોય છે તેમજ નવા રસ્તા બનાવવાનું કામ અને ગટરોના મેનહોલ સાફ કરવાનું કા મપણ પૂર્ણ કરવાનું હોય છે જોકે ભાવનગર પાલિકા આ બાબતમાં ઉદાસીન જોવા મળી હતી અને શહેરના રોડ રસ્તાના કામ અધૂરાં પડયા છે હવે તો ચોમાસાએ પણ શહેરમાં દસ્તક દઈ દીધી છે ત્યારે પાલિકા ગંભીર થઇને કાળિયાબીડ સહિતના વિસ્તાોરમાં રસ્તા પહોળા કરવાના કામ પૂર્ણ કરે તે જરૂરી છે. ત્યારે ગત રોજ કાળિયાબીડમાં વરસેલા વરસાદને પગલે ભરાયેલા પાણીથી સાંજના સમયે શાળાથી ઘરે જતા વિદ્યાર્થીઓ તેમજ ઓફિસથી ધરે જતા કર્મચારીઓ પાણીમાં ફસાઈ ગયા હતા.
ભાવનગરમાં નાગરિકો છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાના કામ પૂરા કરવાની માંગ કરી રહ્યા છે. રોડ રસ્તા તેમજ ગટર લાઇનના અધૂરા કામકાજને કારણે ભાવનગર શહેરમાં વિવિધ વિસ્તારમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. જેનો સત્વરે ઉકેલ આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. હવે વરસાદનું આગમન થઈ ગયું છે ત્યારે નાગરિકો એવી આશા રાખી રહ્યા છે કે શહેરમાં ભારે વરસાદ આવે તે પહેલા પાલિકા તંત્ર ઘોર નિદ્રામાંથી જાગે અને ઝડપથી આ અધૂરાં કામ પૂરા કરાવે જેથી ભારે વરસાદના સમયે નિર્દોષ નાગરિકો તકલીફોનો ભોગ ન બને.