Gujarat Monsoon 2022: ભાવનગરમાં દરિયાકાંઠે 40-60 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, 15 જૂનથી 17 જૂન સુધી માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી
સૌરાષ્ટ્ર સહિત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 17 જૂન સુધી ભાવનગર (Bhavnagar) સહિત સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠે માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.
Gujarat Monsoon 2022: રાજ્યમાં જામતા ચોમાસા (Monsoon)વચ્ચે માછીમારોને (Fishermen) 14થી 17 જૂન સુધી દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 15 જૂન સુધી રાજ્યમાં ખાસ કરીને મૂળ દ્વારકા, ભાવનગર (Bhavnagar ) વેરાવળ, દીવ, જાફરાબાદ, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયામાં ન જવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂન સુધી અહીં 40-50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
તેમજ પવનની ગતિ 60 કિલોમીટર સુધીની થઈ શકે છે. ખાસ કરીને 16 જૂનના રોજ ભાવનગર , ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટરથી માંડીને 50 કિલોમીટર સુધીની રહેશે. જ્યારે 14 જૂનથી 17 જૂન સુધી 40થી માંડીને 60 કિમીની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાઈ શકે છે.
આટલા દરિયાકાંઠા છે સુરક્ષિત, નથી કોઈ ચેતવણી
જોકે 13 તારીખથી 17 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત દરિયાકાંઠા માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી તેમાં જખૌ, માંડવી(કચ્છ) મુદ્રા, નવા કંડલા, નવલખી, જામનગર સલાયા, ઓખા અને પોરબંદર માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. સાથે જ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે 13 જૂનથી 17 જૂન દરમિયાન માછીમારો માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. પરંતુ આ સ્થળો પર 16 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે અમરેલી, દીવ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને મેઘરાજાએ બરાબર જમાવટ કરી છે ત્યારે આજે પણ પણ અમરેલી, દીવ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન અમરેલીના બાબરામાં કોટડાપીઠાનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં નદીના પૂરમાં ગાય તણાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે અમરેલીમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
14 જૂને રાજ્યમાં આ જિલ્લાઓ માટે છે વરસાદની આગાહી
- સૌરાષ્ટ્રમાં અમરેલી, દીવ , દાદરાનગર હવેલી
- ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, અમદાવાદમાં વરસાદની વકી
- મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા, ભરૂચ. સુરત, ડાંગ, નવસારી અને વલસાડ
16 જૂને આ જિલ્લાઓમાં છે વરસાદની વકી
સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ જિલ્લાને મેઘરાજા ઘમરોળે તેવી આગાહી કરવામાં આવી છે
મધ્ય ગુજરાતના અમવાદ, ખેડા, આણંદ અને દક્ષિણમાં ભરૂચ, સુરત અને તાપી તથા ડાંગમાં વરસાદ ખાબકી શકે છે.