BHARUCH : અંકલેશ્વરમાં બનેલી કોવેક્સીનની સૌપ્રથમ બેચને રિલીઝ કરશે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા
Mansukh Mandviya Ankleshwar Visit : ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વર ખાતે પોતાનો COVAXIN બનાવવાનો નવો પ્લાન્ટ કાર્યરત કર્યો છે . આ પ્લાન્ટમાં બનેલી COVAXIN ની સૌપ્રથમ બેચને આરોગ્યપ્રધાન દ્વારા રિલીઝ કરવામાં આવશે.
BHARUCH : કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા 29 ઓગષ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતેના પ્લાન્ટની મુલાકાત કરશે અને ગુજરાતમાં બનેલી COVAXIN ની સૌપ્રથમ બેચને રિલીઝ કરશે.
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન મનસુખ માંડવિયા આવતીકાલે 29 ઓગષ્ટે ગુજરાત પહોંચશે. તેઓ કોરોનાની વેક્સિન – COVAXIN બનાવતી કંપની ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતે આવેલા પ્લાન્ટની મુલાકાત કરશે. ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વર ખાતે પોતાનો COVAXIN બનાવવાનો નવો પ્લાન્ટ કાર્યરત કર્યો છે . આ પ્લાન્ટમાં બનેલી COVAXIN ની સૌપ્રથમ બેચને આવતીકાલે આરોગ્યપ્રધાન દ્વારા રિલીઝ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે 27 ઓગષ્ટે દેશમાં માત્ર એક જ દિવસમાં 1 કરોડ કરતાં વધારે કોરોનાની વેક્સિનના ડોઝ લગાવાયા અને દુનિયાની સૌથી મોટી વેક્સિન ડ્રાઈવમાં એક ઐતિહાસિક કીર્તિમાન સ્થપાયો. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતેની મુલાકાત અત્યંત મહત્વની ગણી શકાય. કારણ કે સૌ પ્રથમ વેક્સિન બેચની રિલીઝ સાથે COVAXIN ના ઉત્પાદનમાં પણ ઝડપી વધારો થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “બધાને વેક્સિન , મફત વેક્સિનના” સંકલ્પને દ્રઢતા મળશે.
કેન્દ્ર સરકારે આજથી 20 દિવસ પહેલા 18 ઓગષ્ટે ગુજરાતના અંકલેશ્વર ખાતે ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સીનના ઉત્પાદન માટે એકમ મંજૂર કર્યું છે.કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આ અંગે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરેલા ટ્વીટમાં માહિતી આપી છે કે ભારત સરકારે અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સીનના અંકલેશ્વરમાં ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ માટે મંજુરી આપી દીધી છે.આ સાથે જ તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના વિઝન “સૌને રસી- મફત રસી” ની દિશામાં આ નિર્ણયથી રસીની ઉપલબ્ધતામાં વધારો થશે અને વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને વેગ આપશે.