ભરૂચ શહેરમાં સવારે 9 થી રાતે 9 સુધી લકઝરી બસ માટે નો-એન્ટ્રી, જાણો કેમ લેવાયો નિર્ણય
કંપનીની શિફ્ટ બસો પોતાની મરજી મુજબ વિવિધ પીકઅપ અને ડ્રોપ પોઇન્ટ ઉભા કરી મુખ્ય માર્ગો ઉપર થોડા થોડા અંતરે ઉભી રહેતી બસ ટ્રાફિકની સમસ્યા સર્જે છે.
![ભરૂચ શહેરમાં સવારે 9 થી રાતે 9 સુધી લકઝરી બસ માટે નો-એન્ટ્રી, જાણો કેમ લેવાયો નિર્ણય](https://images.tv9gujarati.com/wp-content/uploads/2022/07/no-entry.jpg?w=1280)
ભરૂચ પોલીસ(Bharuch Police) દ્વારા શહેરમાં સવારે 9 થી રાતે 9 ખાનગી લકઝરીઓ માટે શહેરમાં પ્રવેશ બંદી ફરમાવી છે. ભરૂચ શહેરમાં વિકટ બની રહેલી ટ્રાફિકની સમસ્યા હલ કરવા સાથે અકસ્માતોનું ચિંતાજનક પ્રમાણ નિયંત્રણમાં લાવવા પગલું ભરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઔદ્યોગિક નગરી ભરૂચમાં શહેરને અડીને આવેલ ઔદ્યોગિક વસાહતોમાં ધમધમતી કંપનીઓની શિફ્ટ બસોની અવર-જવરના કારણે ટ્રાફિકજામ અને અકસ્માતોની સમસ્યા શિરોવેદના સમાન બની રહી છે. શહેરમાં ઝાડેશ્વર, એબીસી, શીતલ, કસક, શ્રવણ ચોકડી, શક્તિનાથ, તુલસીધામ, જ્યોતિનગર, કોલેજ રોડ ઉપર ખાનગી લકઝરી બસના કારણે ટ્રાફિકની અડચણો ઉભી થઇ રહી છે. શાળા- કોલેજોના વિધાર્થીઓ સહીત અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી.
કંપનીની શિફ્ટ બસો પોતાની મરજી મુજબ વિવિધ પીકઅપ અને ડ્રોપ પોઇન્ટ ઉભા કરી મુખ્ય માર્ગો ઉપર થોડા થોડા અંતરે ઉભી રહેતી બસ ટ્રાફિકની સમસ્યા સર્જે છે. ચોકડી ઉપર કર્મચારીઓને લેવા મુકવા ઉભી રહેતી બસ ટ્રાફિકજામના દ્રશ્યો રચે છે. આ લકઝરી બસો મુખ્ય માર્ગ ઉપર ઉભી રહેતી હોય ટ્રાફિકજામ રહે છે. મુખ્ય માર્ગો ઉપર અને ચોકડીઓ સહિતના સ્થળે લકઝરી બસો ઉભી રાખતા કે પાર્ક કરાતા ટ્રાફિકને નડતર ઉભું થાય છે. આ તમામ સ્થિતિને ધ્યાને લઇ સી ડિવિઝન પોલીસ દ્વારા શહેરમાં સવારે 9 થી રાત્રીના 9 વાગ્યા સુધી ખાનગી બસોને શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
જો કોઈ લકઝરી બસ ચાલાક આ પ્રતિબંધ નો ભંગ કરશે કે વાહન જાહેર માર્ગ ઉપર પાર્ક કરેલી મળશે તો તે લકઝરી બસ ડિટેઇન કરવામાં આવશે. પોલીસ દ્વારા આઈ.પી.સી. ની કલમ 283 મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચમાં શુક્રવારે સવારે જ એક્ટિવા ચાલક મહિલાને શક્તિનાથ સર્કલ ઉપર એક લકઝરી બસના ચાલકે અડફેટે લીધી હતી. સદનશીબે બનાવમાં કોઈ ઇજા કે જાનહાની થઈ ન હતી. આ ઘટનાના પગલે બેફામ દોડતા મોટા વાહનોને લઈ રોષ ફેલાયો હતો.
ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરમાં લકઝરી બસની સવારે ૯ વાગ્યાથી રાતે 9 સુધી પ્રવેશ બાંધીના કારણે વાહનચાલકો રાહત અનુભવી રહ્યા છે. પીક-અવર્સ દરમ્યાન ટ્રાફિકની સમસ્યા હલ થશે જયારે અકસ્માતનો ભય પણ ઓછો થવાની આશા સેવાઈ રહી છે.