Bharuch: પ્રિ-મોન્સૂનની ઢીલી કામગીરી ચોમાસામાં જળબંબાકાર કરશે : કોંગ્રેસની પાલિકા પ્રમુખને રજુઆત
કોંગ્રેસે પાલિકા પ્રમુખ અમિત ચાવડાને રજુઆત કરી હતી કે ભરૂચ નગરમાં કાંસ ઉપર ગેરકાયદેસર થયેલ બાંધકામ અંગેનો સર્વે કરી દબાણ દૂર કરવામાં આવે તે ઇચ્છનીય છે.
અસમતળ ટોપોગ્રાફી ધરાવતા ભરૂચમાં ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના નિકાલની વિકટ સમસ્યાઓ ઉભી થાય છે. એક બે ઇંચ વરસાદ બાદજ ભરૂચ(Bharuch)ના ઘણા વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યાઓ ઉભી થાય છે. લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘુસી જવાથી નુક્સાનીનો સામનો કરવો પડે છે. પાણીના નિકાલ માટે પ્રિ મોન્સૂન કામગીરી ખુબ મહત્વની રહેતી હોય છે. ગણતરીના દિવસોમાં ચોમાસુ દસ્તક દેવાની તૈયારી કરી રહ્યું છે તેમ છતાં પાલિકા તંત્ર લોકો સમસ્યામાં મુકવાની રાહ જોઈ રહ્યું હોય તેવો વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે મામલે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.
વરસાદ નજીક હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરની 27 જેટલી કાંસોની સાફસફાઈ અને રોડ રસ્તાના પેચ વર્ક ના કામ અસરકારક કામગીરી શરૂ કરાઈ ન હોવાની કોંગી નગરસેવકોએ પાલિકા સત્તાધીશો સમક્ષ રજુઆત કરી હતી. વિરોધ પક્ષના નેતા સમસાદઅલી સૈયદે જણાવ્યું હતું કે હાલમાં દેખાવ પૂરતું એક જ મશીન કામે લગાડયું છે પણ ગટરની સાફ સફાઇ હાથ ધરવામાં આવી નથી. ચોમાસામાં ભારે વરસાદ દરમ્યાન નગરમાં જળબંબાકાર થાય તેવો ભય વર્તાઈ રહ્યો છે . પ્રિમોન્સૂન કામગીરી ના આયોજન માટે હજી કોઇ બેઠકો પણ યોજાઇ નથી.
નગરપાલિકા દ્વારા દર વર્ષે કાંસના કામ માટે મોટી રકમ ખર્ચવામાં આવે છે પરંતુ પરિણામ શૂન્ય જણાતું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ભરૂચ નગરના સ્ટેશન રોડ , પાંચબત્તી , સેવાશ્રમ રોડ , દાંડિયા બજાર , ફુરજા ચાર રસ્તા અને અન્ય મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીનો ભરાવાની સમસ્યા ન સર્જાય તેની તકેદારી નગરપાલિકા રાખવી જોઈએ તેવી વિપક્ષ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત તળાવના કામો ગટરની સાફ – સફાઈ ના કામો કરવાની માંગ કરવામાં આવી હતી. વોર્ડના સભ્યોના આ અંગે સલાહ સુચન પણ લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
કોંગ્રેસે પાલિકા પ્રમુખ અમિત ચાવડાને રજુઆત કરી હતી કે ભરૂચ નગરમાં કાંસ ઉપર ગેરકાયદેસર થયેલ બાંધકામ અંગેનો સર્વે કરી દબાણ દૂર કરવામાં આવે તે ઇચ્છનીય છે. કેટલાક કિસ્સાઓમાં નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની જાણ હોવા છતાં કેટલાક કાંસો પરના દબાણો કોઈ કારણોસર દૂર કરતા ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. ભરૂચ નગરમાં લગભગ ૨૭ જેટલી કાંસો આવેલી છે જેની સાફ – સફાઇ મોડી શરૂઆત કરવામાં આવી છે હાલમાં દેખાવ પૂરતું એક જ મશીન કામે લગાડયું છે . આક્ષેપ સામે પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે વરસાદી પાણીના નિકાલ માટે આયોજન સાથે કામગીરી કરવામાં આવી રહી છે વિપક્ષના આક્ષેપ પાયાવિહોણા ગણાવાયા હતા.