Bharuch : નર્મદા મૈયા બ્રિજ ઉપર વારંવાર સર્જાતા અકસ્માતનું કારણ શોધવા Collector-SP ની ટીમે જાત તપાસ હાથ ધરી
Bharuch : જુના નેશનલ હાઇવે પર નર્મદા નદી ઉપર બ્રિજ બનાવી ટ્રાફિક(Traffic)ના ભારણને હળવું બનાવવા પ્રયાસ ધરાયો હતો પરંતુ નર્મદા મૈયા બ્રિજ(Narmada Maiya Bridge) હાલમાં એક્સીડેન્ટ ઝોન તરીકે બદનામ થઇ રહયો છે. નર્મદા મૈયા બ્રિજ ઉપર વાહનો માટે 40 કિમિ પ્રતિ કલાકની ગતિ મર્યાદા(Speed Limit) નક્કી કરવામાં આવી છે.
![Bharuch : નર્મદા મૈયા બ્રિજ ઉપર વારંવાર સર્જાતા અકસ્માતનું કારણ શોધવા Collector-SP ની ટીમે જાત તપાસ હાથ ધરી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/06/bharuch-accident-2.jpg?w=1280)
Bharuch : જુના નેશનલ હાઇવે પર નર્મદા નદી ઉપર બ્રિજ બનાવી ટ્રાફિક(Traffic)ના ભારણને હળવું બનાવવા પ્રયાસ ધરાયો હતો પરંતુ નર્મદા મૈયા બ્રિજ(Narmada Maiya Bridge) હાલમાં એક્સીડેન્ટ ઝોન તરીકે બદનામ થઇ રહયો છે. છેલ્લા કેટલાક સમયથી ત્રણ ત્રીજ – ચોથા દિવસે આ બ્રિજ અને તેને જોડતા માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવતા તંત્ર દોડતું થઇ ગયું છે. આ બ્રિજ ઉપર ST બસ દોડાવવાની પરવાનગી બાદ અકસ્માતોની સંખ્યા ચિંતાજનક સ્તરે વધી હતી. આ સાથે આ સરકારી બસોના ઓથા હેઠળ ખાનગી બસો પણ અવર – જ્વર શરૂ કરી દેતા અકસ્માતનો સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી હતી. આજે ભરૂચ જિલ્લા કલેકટરની આગેવાનીમાં એક ટીમે નર્મદા મૈયા બ્રિજની મુલાકાત લઈ અકસ્માતની હારમાળા સર્જાવાના કારણો અને હલ શોધવા પ્રયાસ હાથ ધર્યા હતા.
ST બસના અકસ્માત વધ્યા
નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવ્યા બાદ ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવાઈ હતી. લાંબા સમય બાદ આ બ્રિજ ઉપર માત્ર ST બસને અવર – જ્વર માટે પરવાનગી અપાઈ હતી. આ પરવાનગી રાહતના સ્થાને મુસીબત સામે લાવી હતી. એસટી બસના અકસ્માતની ઘટનાઓ સતત બનવા લાગી હતી. વારંવાર સર્જાતા અકસ્માતના કારણે તંત્રના નિર્ણય સામે પ્રશ્નાર્થ ઉભા થવા લાગ્યા હતા.
કલેકટર – એસપી સહીત અધિકારીઓએ જાત તપાસ હાથ ધરી
આજે અકસ્માતની ઘટનાઓનું મૂળ શોધવા ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને એસપી ડો. લીના પાટીલ સાથે પોલીસ ઈન્સ્પેકટરો અને આર એન્ડ બી વિભાગના અધિકારીઓની ટીમે નર્મદા મૈયા બ્રિજની મુલાકાત લીધી હતી. આ ટીમે અલગ અલગ કારણો અંગે અભિપ્રાય મેળવી હલ શોધવા પ્રયાસ શરૂ કર્યા હતા.
40 કિમીની ગતિ મર્યાદા નક્કી કરાઈ
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ટીમ સાથે નર્મદા મૈયા બ્રિજની મુલાકાત બાદ જણાવ્યું હતું કે ઘણાં કારણો ધ્યાન ઉપર લેવામાં આવ્યા છે જે અંગે નિષ્ણાતોના અભિપ્રાય બાદ નક્કર અને જરૂરી પગલાં ભરવામાં આવશે.હાલ પુપત ઝડપે દોડતા વાહનો અકસ્માતનો વધુ ભોગ બનતા હોવાનું સામે આવ્યું છે. આ કારણે નર્મદા મૈયા બ્રિજ ઉપર વાહનો માટે 40 કિમિ પ્રતિ કલાકની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે.જિલ્લા કલેકટરે વધુમાં ઉમેર્યું હતું કે આ બ્રિજમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવનારા ખાનગી ભારે વાહનો સામે પણ કડક હાથે કામ લેવામાં આવશે.