આજે સમગ્ર દેશમાં દેવદિવાળીની ધામધૂમપૂર્વક થશે ઉજવણી, ચંદ્રગ્રહણને કારણે અમુક મંદિરો રહેશે બંધ
આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણનું સૂતક 9 કલાક પહેલા શરૂ થાય છે, જેને લઈને ગુજરાતના વિવિધ શહેરના મોટા ભાગના મંદિર ભક્તો માટે બંધ રહેશે.
આજે સમગ્ર દેશમાં દેવદિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. ભારતીય સમય અનુસાર બપોરે 2.41 વાગ્યાથી ચંદ્ર ગ્રહણ શરૂ થશે અને સાંજે 6.20 વાગ્યા સુધી ગ્રહણ ચાલશે. સંપૂર્ણ ચંદ્રગ્રહણ ભારતના અમુક ભાગોમાં જ જોવા મળશે. મોટાભાગના ભાગોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. ચંદ્ર ઉદયનો સમય સ્થળ પ્રમાણે બદલાય છે. ચંદ્રના ઉદય સાથે ગ્રહણ દેખાશે. 15 દિવસમાં આ બીજું ગ્રહણ હશે, આ પહેલા 25 ઓક્ટોબરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થયું હતું. ચંદ્રગ્રહણનું સૂતક 9 કલાક પહેલા શરૂ થાય છે જેને લઈને શહેરના મોટા ભાગના મંદિર ભક્તો માટે બંધ રહેશે. અંબાજી મંદિર સહિત મોટા મંદિરો ભક્તો માટે બંધ રહેશે.
The world will witness the last total lunar eclipse of the year, today. The eclipse will begin at 2:41 PM #LunarEclipse #LunarEclipse2022 #TV9News pic.twitter.com/3C8nnWwbrV
— Tv9 Gujarati (@tv9gujarati) November 8, 2022
કેટલાક મંદિર દર્શન માટે ખુલ્લા રહેશે તો કેટલાક બંધ
આ ચંદ્ર ગ્રહણથી ધાર્મિક વિધિને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતુ હોવાથી ગુજરાતના કેટલાક મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે મંદિરનાં દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ રહેવાનું છે. તો અરવલ્લીનું શામળાજી મંદિર ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લુ રહેશે. ભક્તો ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપ કરી શકે તે માટે મંદીર ખુલ્લું રખાશે. ગ્રહણ દરમિયાન મંત્ર જાપનું મહત્વ રહે છે.
અંબાજી મંદિર ભક્તો માટે રહેશે બંધ
જો અંબાજી મંદિરની વાત કરીએ તો સવારે 6.30 કલાકથી અંબાજી મંદિર બંધ રાખવામાં આવ્યુ છે અને રાત્રીના 9.00 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. સાંજનાં 6.30 ની આરતી રાત્રિના 9.30 કલાકે થશે. બાદમાં મંદિર મંગળ થશે અને ત્યારબાદ આવતીકાલથી દર્શન આરતી રાબેતા મુજબ કરાશે. આપને જણાવી દઈએ કે, આજે આખો દિવસ ચંદ્રગ્રહણનું સૂતક રહેશે. જેને પગલે અંબાજી મંદિરના દર્શન ભક્તો માટે બંધ રહેશે