આગામી 15 નવેમ્બરે અંબાજી ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચશે. જેઓ વિકસિત સંકલ્પ યાત્રાનો પ્રારંભ અંબાજીથી કરાવશે. આ માટે તડામાર તૈયારીઓ દિવાળીના સમયે જ ચાલી રહી છે. અંબાજીમાં મુખ્યપ્રધાનના કાર્યક્રમને લઈને ડોમ સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે ચૂંટણીની ગતિવિધીઓ પણ શરુ થઈ જશે. કેન્દ્ર સરકારની સિદ્ધીઓને વર્ણવતી સંકલ્પ યાત્રા અનેક શહેરોમાં ફરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડથી યાત્રાનો પ્રારંભ કરાવનાર છે. આ સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન ગુજરાતમાં યાત્રાનુ પ્રસ્થાન કરાવશે.
સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવનાર છે. જન જાતિય ગૌરવ દિવસ થી આ યાત્રાનુ પ્રસ્થાન કરાનાર છે. એટલે કે આગામી 15 નવેમ્બરથી પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઝારખંડથી યાત્રાનો પ્રારંભ કરાવનાર છે. ગુજરાતમાં યાત્રાના આધુનિક રથને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રસ્થાન કરાવનાર છે.
ભારત વિકસિત સંકલ્પ યાત્રા ઘરે ઘરે કેન્દ્ર સરકારની સિદ્ધીઓને પહોંચાડવામાં આવશે. સરકારની વિવિધ યોજના અને તેના લાભ સહિતની વિગતો પણ દરેક ઘરે પહોંચે એ પ્રમાણેનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ માટે વિશેષ રથ તૈયાર કરવામાં આવ્યો છે. આધુનિક ટેક્નોલોજી સાથેનો રથ નિયત કરેલા રુટ પર ફરીને કેન્દ્ર સરકારની યોજનાઓની વિગતો લોકો સુધી પહોંડશે. જેમાં મોદી સરકાર દ્વારા 10 વર્ષમાં કરાયેલા વિકાસ કાર્યો અને સરકારની સિદ્ધીઓને પણ વર્ણવવામાં આવશે.
આ યાત્રા શરુઆતમાં જનજાતિ જિલ્લાઓને આવરી લેશે. ત્યાર બાદ વર્તમાન માસના ત્રીજા સપ્તાહે અન્ય જિલ્લાઓમાં રથ ભ્રમણ કરશે. આ રથનુ અનેક સ્થળો પર સ્વાગત કરવામાં આવશે. રથ દ્વારા લોકોને વડાપ્રધાન મોદીનો વીડિયો સંદેશ પણ બતાવવામાં આવશે. એટલુ જ નહીં રથ જ્યાં પહોંચશે ત્યાં લોતોને વિકસિત ભારત અંગે સંકલ્પ લેવડાવવામાં આવશે.
મોટે ભાગે 10 હજાર કરતા વધારે વસ્તી ધરાવતા નગર અને શહેરને રથના રુટ હેઠળ પસંદ કરવામાં આવ્યા છે. જે દરમિયાન 17 જેટલી યોજનાઓને લઈ વિગતો આપવામાં આવશે અને સાથે જ યોજનાનો લક્ષ્યાંક 100 ટકાને આંબે એવો પ્રયાસ કરવામાં આવશે.
Published On - 10:19 am, Sat, 11 November 23