Banaskatha: ડીસા ધર્માતંર કેસમાં હવે ATSની એન્ટ્રી, ગૃહ વિભાગે ATSને સોંપી તપાસની જવાબદારી
Banaskantha: છેલ્લા કેટલાક દિવસોથી ડીસામાં ચાલી રહેલા ધર્માન્તર વિવાદમાં હવે ગૃહવિભાગ એક્શનમાં આવ્યુ છે અને ધર્માન્તર કેસની તપાસ હવે ATSને સોંપવામાં આવી છે.
બનાસકાંઠામાં ડીસા ધર્માન્તરણ કેસને લઈને રાજ્યનું ગૃહ વિભાગ એક્શનમાં આવ્યુ છે. ઘટનાની ગંભીરતાને જોઈ ગૃહવિભાગે તપાસના આદેશ આપ્યા છે. ગૃહવિભાગે સમગ્ર મામલે ATSને તપાસ સોંપી છે. સમગ્ર કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે તેવુ પણ ગૃહવિભાગે ખાતરી આપતા જણાવ્યુ છે. જેમાં ધર્માન્તર થયુ છે કે કેમ? યુવતીના પિતાના આક્ષેપો કેટલા સાચા છે? આ કેસમાં હિંદુ સંગઠનોએ જે રેલી કાઢી હતી એ બાબતે એમના જે પ્રશ્નો છે તે સાચા છે કે કેમ? આ તમામ બાબતોની તપાસ અને જવાબદાર ગુનેગારોને પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે માટે ગૃહવિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની જવાબદારી હવે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડને સોંપવામાં આવી છે. આ સમગ્ર ઘટના પાછળ કોઈ કાવતરુ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ATS દ્વારા કરવામાં આવશે.
રાજપુર ગવાડી ગામના શખ્સે માલગઢની યુવતીને ફસાવી યુવતી સહિત માતા અને ભાઈનું કરાવ્યુ ધર્મપરિવર્તન
સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે ડીસા તાલુકાના રાજપુર ગવાડી ગામના શખ્સે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી માલગઢની યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતીની માતા અને ભાઈને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. બાદમાં યુવતીના તેના ભાઈ પાસે હાઈકોર્ટમાં પિટીશન કરી ત્રણેને અલગ રહેવા લઈ ગયો હતો. રૂ.25 લાખની માંગણી કરતા યુવતીના પિતાએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વ પોલીસ મથકે પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે. પરિવારમાં ધર્મ પરિવર્તન થતા પિતાને દુ:ખ લાગી આવ્યું હતું અને તેમની લાગણી ઘવાતા પાલનપુરમાં ઝેરી પ્રવાહી પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે એજાજ મુસ્તુફાભાઈ શેખ, મુસ્તુફા પાપાભાઇ શેખ, આલમ પાપાભાઇ શેખ, સત્તાર અબ્દુલભાઈ હાજી અને સોહીલ સત્તારભાઈ શેખ સામે ગુનો નોંધાવ્યો હતો.
વિધર્મીઓના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ
આપને જણાવી દઈએ કે ડીસાના માલગઢ ગામે માળી સમાજના પરિવારનું ધર્મ પરિવર્તન કર્યા બાદ, વિધર્મીઓએ રૂપિયા 25 લાખની માગણી કરી હતી. વિધર્મીઓના ત્રાસથી કંટાળીને પરિવારના મોભીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ સમગ્ર માળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી હતી, પરંતુ ધર્મ પરિવર્તન કરેલો પરિવાર મળી ન આવતા માળી સમાજ સહિત સમગ્ર જિલ્લામાં હિન્દુ સમાજમાં રોષ ભભૂક્યો છે.
હિન્દૂ સમાજની રેલીમાં પોલીસનો લાઠીચાર્જ
લવજેહાદના વિરોધમાં નીકળેલી રેલીમાં 5 હજારથી વધુ લોકો જોડાયા હતા. વણસતી પરિસ્થતિને કાબુમાં લેવા હીરાબજાર પાસે પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. પોલીસના લાઠી ચાર્જને પગલે ટોળામાં નાસભાગ મચી ગઈ હતી.