Ahmedabad: અનાથ બાળકી અર્પિતાને અમેરિકન દંપતિએ દત્તક લીધી, મળશે માતા પિતાનો પ્રેમ
અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે ની હાજરીમાં અર્પિતા ને નાથન ટાઉન્સનને સોંપવામાં આવી સાથે જ તેનો પાસપોર્ટ પણ નાથનને સોંપવામાં આવ્યો.
અમદાવાદ(Ahmedabad) ના ઓઢવ શિશુગૃહમાં છેલ્લા 4 વર્ષથી રહેતી અનાથ(Orphan)બાળકીને હવે વિદેશી માતા-પિતાનો પ્રેમ મળશે મળશે. કારણકે મૂળ અમેરિકા(America)ના અલબામા શહેરના નાથન દંપતીએ આ બાળકીને દત્તક લીધી છે.
નાથન દંપતીએ બાળકને દત્તક લેવા માટે 3 વર્ષ પહેલાં અરજી કરી હતી જેના ભાગરૂપે ઓઢવ શિશુગૃહની બાળકી અર્પિતાને હવે નવું નામ અને નવા પાલક મળ્યા છે.
ઓઢવ શિશુગૃહમાં છેલ્લા 4 વર્ષથી રહેતી જ અર્પિતાને તેની માતાએ 4 વર્ષ પહેલાં ગાંધીનગરના રસ્તા પર ત્યજી દીધી હતી કારણ કે આ બાળકી જન્મ સમયે સ્વસ્થ નહોતી જો કે સ્થાનિક તંત્રએ આ બાળકીની સારવાર કરાવીને તેને અમદાવાદના ઓઢવ સ્થિત શિશુગૃહમાં સારસંભાળ માટે મોકલી આપી હતી.
છેલ્લા 4 વર્ષથી અર્પીતાની અન્ય બાળકીઓની સાથે જ સારસંભાળ રાખવામાં આવતી હતી જેને કારણે શિશુગૃહના સ્ટાફનો અર્પિતા સાથે આત્મીય સંબંધ બંધાઈ ગયો હતો.
જિલ્લા કલેકટર સંદીપ સાગલે ની હાજરીમાં અર્પિતા ને નાથન ટાઉન્સનને સોંપવામાં આવી સાથે જ તેનો પાસપોર્ટ પણ નાથન ને સોંપવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા કલેકટર સંદીપ સાગલે એ કહ્યું કે અર્પિતા ખુશનસીબ છે જેને નાથન અને જેસિકા નો પ્રેમ હવે અમેરિકામાં મળશે. ભલે તેને જન્મ આપનાર માતાએ તેને ત્યજી દીધી હોય પણ હવે અર્પિતાને ખૂબ પ્રેમ મળશે અને તેનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે.
મહત્વનું છે કે બાળકી દત્તક લેવાની પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે જેને કારણે નાથન ને દત્તક બાળકી મેળવવામાં 3 વર્ષથી વધુનો સમય લાગી ગયો. આ સમય દરમ્યાન નાથન અને તેની પત્ની જેસિકા ને ત્યાં પણ એક બાળકીનો જન્મ થયો તેમછતાં નાથને બાળકી લેવાની પ્રક્રિયા અટકાવી નહિ અને સોમવારે અમદાવાદ આવીને અર્પિતાને અમેરિકા લઈ જવા રવાના થયો. બાળકીને દત્તક આપવાની પ્રક્રિયા હિન્દૂ ધર્મની વિધિ પ્રમાણે જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી હતી.
અનાથ બાળકોની સારસંભાળ ઓઢવના જે શિશુગૃહમાં રાખવામાં આવે છે તે શિશુગૃહને પણ અમદાવાદની એક ખાનગી સંસ્થા દ્વારા એક વર્ષ માટે દત્તક લેવામાં આવ્યો છે જેમાં એક વર્ષ દરમ્યાન અનાથ બાળકોનો તમામ ખર્ચ આ સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવશે. આ સાથે જ શિશુગૃહમાં નાના બાળકોને રમવા માટેનો સ્પેશિયલ રૂમ તેમજ શુશુગૃહનું રીનોવેશન 16 લાખ રૂપિયાના ખર્ચે આ સંસ્થા દ્વારા કરાવવામાં આવ્યું છે.
અર્પિતા ને દત્તક લેનાર નાથન અને તેની પત્નીને બાળક ન થતું હોવાને કારણે તેમને બાળક દત્તક લેવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. અને આજે તે પ્રક્રિયા પૂર્ણ થતાં નાથન ખુશ હતો અને તેણે કહ્યું કે બાળકી દત્તક લેવાના નિર્ણય બાદ અમારા ઘરે દીકરીનો જન્મ થયો અને અમારા ઘરમાં ખુશી આવી છે જેને કારણે હવે અમે અર્પિતાનું નવું નામ જોય રાખવાનું નક્કી કર્યું છે હું અને મારી પત્ની જેસિકા અમેરિકામાં અમારા બંને સંતાનોનું ખૂબ સારી રીતે ધ્યાન રાખીશું.
આ પણ વાંચો : Surat : બીએમડબલ્યુ કાર વાપરવા લીધા બાદ પરત કરવા બ્લેકમેલ કરવાની ફરિયાદ, પોલીસે આરોપીની ધરપકડ કરી
આ પણ વાંચો : Ganesh Chaturthi 2021: ગણેશ ઉત્સવની તિથિ, સમય, મહત્વ અને વિસર્જન સિવાય જાણો ઘણુ બધુ