અરવલ્લી જિલ્લામાં ચોમાસાનો માહોલ હવે જામવો શરુ થતા ખેડૂતો અને પશુપાલકો સહિત સ્થાનિકોને મોટી રાહત સર્જાઈ છે. જિલ્લાના જળાશયો પણ મોટેભાગે ખાલી છે અને સ્થાનિકો ચોમાસાના વરસાદને લઈ રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન વરસાદ વરસવાને લઈ મોટી રાહત સર્જાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં ભારે બફારા સાથે ગરમીને લઈ લોકોમાં પરેશાની વર્તાઈ રહી હતી.
સાબરકાંઠા જિલ્લામાં પણ મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાવાને લઈ મોટી રાહત સર્જાઈ હતી. આમ અરવલ્લી અને સાબરકાંઠાના 14 પૈકી 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે હવે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
અરવલ્લી જિલ્લામાં છ પૈકીના ત્રણ તાલુકામાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. જિલ્લાના બાયડ, ભિલોડા અને માલપુર તાલુકામાં વરસાદ નોંધાયો હતો. માલપુર અને બાયડ તાલુકાના ગ્રામ્યા વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાને લઈ ખેડૂતો અને પશુપાલકોને હાશકારો થયો હતો. પશુપાલકોને હવે ઘાસચારામાં રાહત સર્જાય એ માટે વરસાદની રાહ જોવાઈ રહી હતી.
જિલ્લામાં સૌથી વધારે વરસાદ બાયડ તાલુકામાં વરસ્યો હતો. જ્યારે ભિલોડામાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગાજવીજ સાથે સોમવારે મોડી રાત્રે વરસાદ નોંધાયો હતો. વરસાદને લઈ વિસ્તારમાં રાહત સર્જાઈ હતી. ભારે બફારા અને ઉકળાટ બાદ વરસાદ ગાજવીજ સાથે વરસવા લાગતા સ્થાનિકોને પણ રાહત સર્જાઈ હતી.
અણિયોર પંથકમાં તો વરસાદ ધોધમાર તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસતા જ રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. આમ અણિયોર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાવા લાગ્યા હતા.
જિલ્લામાં ખેડબ્રહ્મામાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્મામાં સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું હતુ. આ ઉપરાંત હિંમતનગર શહેરમાં પણ મોડી રાત્રીએ તૂટી પડેલો વરસાદ પોણો ઈંચ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં પોશીનાને બાદ કરતા 8માંથી 7 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં વડાલી, ઈડરમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. જ્યારે પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો.