અમરેલીના રાજુલાના ભાક્ષી ગામ નજીક ખનીજ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાવવાના મુદ્દે રાજકીય ભૂકંપ સર્જાયો છે. ખનીજ ચોરી કૌભાંડમાં રાજકીય આગેવાન અને ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાના આરોપ છે. જેને લઈ અમરેલી ભાજપના નેતા ડૉ.ભરત કાનાબારે PM મોદીને ટેગ કરીને ટવીટ કર્યું કે, સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિઓ પ્રમાણિક અધિકારીઓ પર દબાણ લાવવા ધમપછાડા કરી રહ્યા છે.. તેમણે કોઈનું નામ લીધા વિના જ લોકપ્રતિનિધિ સામે આક્ષેપ કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
અમરેલી-જિલ્લામાં રેતી ચોરીનું સૌથી મોટું કૌભાંડ !રાજુલાના ભાક્ષી ગામ નજીક નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરવા માટે પાણીમાં મુકાયેલ 4 મોટી બોટ + 1 હિટાચી મશીન જપ્ત.
સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા !!@narendramodi pic.twitter.com/xKxCBIiWjb— Dr. Bharat Kanabar (@KANABARDr) February 14, 2023
આ તરફ મામલતદારે રેતી ચોરીનું કૌભાંડ ઝડપતા ખાણ ખનીજ વિભાગ ઊંઘતુ ઝડપાયું હતું. ખાણ ખનીજ વિભાગ પણ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો. જોકે સમગ્ર મામલે અમરેલી ખાણ ખનીજ વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી માપણી શરૂ કરી હતી. આ મામલે રાજુલાના પ્રાંત અધિકારી કુલદીપસિંહ વાળાએ કહ્યું કે- રેતીચોરી બાબતે માહિતી મળતા મામલતદારની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઘટનાસ્થળ પરથી ચાર બોટ અને એક હિટાચી મશીન સીઝ કરવામાં આવ્યું છે.
ગઇકાલે મોડી રાતે જિલ્લાનું સૌથી મોટું રેતી ચોરીનું રેકેડ પકડાયુ હતુ. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજુલા તાલુકામાં આવેલા ભાક્ષી ગામ નજીક રેતી ચોરી માટે અહીં પાણી ભરેલી નદીમાં 4 જેટલી બોટ ઉતારવામાં આવી હતી. મોટું હીટાચી મશીન મુકવામા આવ્યુ હતુ, જો કે આ કૌભાંડમાં જિલ્લાના 1 ઉચ્ચ અધિકારી અને દિગ્ગજ નેતા હોવાની ચર્ચા હતી. જેના કારણે કોઈ અધિકારી ચેકિંગ કરવાની હિંમત નહોતા કરતા તેવી માહિતી છે.
જો કે રાજુલા પંથકમાં તાજેતરમાં મામલતદાર સંદીપ સિંહ જાદવની નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતી ખનીજ ચોરી સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. મોડી રાતે અલગ અલગ ટીમો બનાવી ભાક્ષી ગામ નજીક રેતી કૌભાંડ ઉપર ત્રાટકતા ખળભળાટ મચી ગયો હતો. અહીં 1 હિટાચી મશીન અને 4 બોટ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. હજારો લાખો ટન રેતી ચોરી કર્યાનું મામલતદારની તપાસમાં ખુલ્યું છે.