દેશના 5 હજાર ગામોમાં સરદાર પટેલની પ્રતિમાઓ સ્થાપિત કરવાનો બાબરાના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તાપરાનો ધ્યેય- વાંચો કેમ કર્યો આવો સંકલ્પ
બાબરાના ચમારડી ગામના ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્તાપરાએ દેશના 5000 ગામોમાં સરદાર પટેલની પ્રતિમા મુકવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ પાછળ એક નાનકડો પ્રસંગ બન્યો હતો. સોશિયલ મીડિયા પર આવેલો એક એવો વીડિયો જેમણે ગોપાલ વસ્તાપરાને અંદરથી હલાવી દીધા અને તેમણે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર પટેલના યોગદાનને દેશના જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો અને સરદારની 5000 પ્રતિમા પોતાના સ્વખર્ચે આપવાનુ નક્કી કર્યુ છે.
અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ તરીકે ખ્યાતિ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ શું હતા તે આજની પેઢી એટલુ જાણતી નથી. સરદાર પટેલ દેશ સહિત વૈશ્વિક લેવલે પણ એટલા સ્થાપિત થાય અને દુનિયાભરમાં સરદાર પટેલનુ નામ રોશન કરવા ચમારડી ગામના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તાપરાએ સંકલ્પ કર્યો છે.
આવનારા વર્ષ 2025 સુધીમાં સરદાર પટેલનુ 8 ફુટનું સ્ટેચ્યુ ભારતના 5 હજાર ગામડાઓમાં સ્થાપિત કરવાનો ધ્યેય ખેડૂત અને મીની સરદારથી જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ વસ્તાપરાનો છે. તેમના આ જ સંકલ્પને આગળ ધપાવતા તેમણે આજે 17 ડિસેમ્બરે લિલિયા તાલુકાના ગામોમાં સરદાર સાહેબની 34 પ્રતિમાનું અનાવરણ કરી સોંપવામાં આવી છે. આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા, લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા અને ગામોના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
સોશિયલ મીડિયા પરનો વીડિયો જોઈ થયા હતા વ્યથિત
ભારતની આઝાદીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવી દેશના 562 જેટલા રજવાડાઓનુ એકીકરણ કરનારા સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકાથી આજની યુવા પેઢી અજાણ છે. ગોપાલ વસ્તાપરાએ જણાવ્યુ કે થોડા સમય પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો જોયો હતો જેમા એક બાળકને પૂછવામાં આવ્યુ હતુ કે ગાંધીજીની હત્યા કોણે કરી અને એ બાળકે ભોળા ભાવે જવાબ આપ્યો કે સરદાર પટેલે.
આ બાળકના શબ્દો ગોપાલ વસ્તાપરાને જાણે કાળજે વાગ્યા હોય તેમ તેમના હ્રદયને ચીરી નાખ્યુ હતુ. આ સાંભળી તેઓ ખૂબ વ્યથિત થઈ ગયા હતા અને તેમણે નક્કી કર્યુ કે સરદાર સાહેબના યોગદાનને દેશનો દરેક બાળક જાણે તે માટે તેઓ કંઈક કરશે અને તેમણે સ્વખર્ચે સરદાર સાહેબની પ્રતિમા દેશના ગામેગામ સુધી પહોંચાડવાનુ બીડુ ઉપાડ્યુ.
સરદાર પટેલની ખ્યાતિ દેશ સહિત વૈશ્વિક લેવલે સ્થાપિત કરવા પ્રયત્નો કરશે- ગોપાલ વસ્તાપરા
ગોપાલ વસ્તાપરાએ જણાવ્યુ કે આ દેશ માટેના સરદાર પટેલના યોગદાનને સ્હેજ પણ ઓછુ આંકી શકાય નહીં. તેઓ ઈચ્છે છે કે સરદાર પટેલના આજની પેઢી જાણે. સરદારની ખ્યાતિ ન માત્ર દેશમાં પરંતુ વૈશ્વિક લેવલે પણ ફેલાય તે માટે તેઓ પ્રયત્ન કરતા રહેશે. તેમણે કહ્યુ આજે સરદાર સાહેબના એકપણ વારસદારો કે વંશજો રાજકારણમાં સક્રિય નથી. 2022માં સરદાર સાહેબની જન્મજયંતિએ જ્યારે તેમના વારસદારોને સન્માન માટેનું આમંત્રણ મોકલ્યુ ત્યારે પણ તેમણે તેમનો સાદર અસ્વીકાર કર્યો હતો. આ સરદાર સાહેબના યોગદાનને દરેક દેશવાસીે જાણવુ જોઈએ તેમ ગોપાલ વસ્તાપરા જણાવે છે.
લિલિયા તાલુકાના ગામોમાં સરદાર પટેલની 34 પ્રતિમાનું અનાવરણ
લિલિયા તાલુકાના ગામોમાં આજે સરદાર સાહેબની 34 જેટલી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ છે અને હજુ તેઓ તેમનો આ ક્રમ આગળ ધપાવતા રહેશે. આજની યુવા પેઢી સરદાર પટેલના વારસો અને વિરાસતથી માહિતગાર થાય તે માટે તેઓ પ્રયાસરત રહેશે. તો ગોપાલ વસ્તાપરાના આ ભગીરથ પુરુષાર્થને ધારાસભ્ય મહેશ કસવાળા અને જનક તળાવિયાએ બિરદાવ્યો છે.
Input Credit- Raju Basiya- Babara, Amreli
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો