Ahmedabad : એક સમયે બેડ માટે હતી પળોજળ, હવે સોલા સિવિલ હોસ્પિટલમાં આટલા બેડ છે ખાલી
ગુજરાતના વુહાન બનેલા અમદાવાદમાં (Ahmedabad ) કોરોનાની સ્થિતિ ધીરે-ધીરે થાળે પડી રહી છે. ગુજરાતના સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં જ નોંધાતા હતા.
ગુજરાતના વુહાન બનેલા અમદાવાદમાં (Ahmedabad ) કોરોનાની સ્થિતિ ધીરે-ધીરે થાળે પડી રહી છે. ગુજરાતના સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં જ નોંધાતા હતા. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં આજે એમ્બ્યુલન્સની લાઈન જોવા મળી ના હતી તો સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
સોલા સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો હાલ 300 બેડ પૈકી 132 બેડ ખાલી છે તો વેન્ટિલેટરના 50 બેડ ફૂલ છે. ઓક્સિજનના 170 બેડ પૈકી 50 બેડ ખાલી છે. જનરલ આઈસોલેશનમાં 80 બેડ પૈકી 77 બેડ ખાલી છે. નોંધનીય છે કે છેલ્લા 1 અઠવાડીયામાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે તો બીજી તરફ કોરોનાના કેસ ઘટતા ઓક્સિજન બેડની ડિમાન્ડ ઘટી છે. આ સાથે જ ઓક્સિજન વપરાશમાં પણ ઘટાડો થયો છે.
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 12,064 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા તો કોરોનાથી વધુ 119 દર્દીઓને જીવ ગુમાવ્યા હતા. જે પૈકી અમદાવાદ શહેરમાં 3,744 પોઝિટિવ કેસ સામે આવ્યા અને 17 દર્દીનાં મોત થયા હતા. અમદાવાદ શહેરમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ ધીરે-ધીરે થાળે પડી રહી છે.
અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 3,744 નવા કેસ નોંધાયા તો નવા કેસ કરતા વધુ 5,220 દર્દીઓ સારવાર બાદ સાજા થયા. અમદાવાદ શહેરમાં 17 દર્દીઓને કાળમુખો કોરોના ભરખી ગયો. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં 24 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો વધુ 96 કોરોના દર્દી સામે આવ્યા અને 50 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા.
રાજ્યમાં 1 લાખ 46 હજાર એક્ટિવ કેસ છે, જે પૈકી 775 વેન્ટિલેટર સારવાર હેઠળ છે. રાજ્યના જે મહાનગરોએ સૌથી વધુ ચિંતા ઉભી કરી હતી તે અમદાવાદ, સુરત અને રાજકોટમાં સ્થિતિ ધીરે-ધીરે થાળે પડી રહી છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં 24 કલાકમાં કોરોનાના નવા કેસ કરતા વધારે દર્દીઓ સ્વસ્થ થયા.